Tirupati,તા.9
વૈકુંઠ એકાદસીના તહેવાર નિમિત્તે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન માટે મફત ટોકનનું વિતરણ કરવા માટે તિરુપતિના આઠ કેન્દ્રો પર નેવું કાઉન્ટર સ્થાપવામાં આવ્યાં છે અને મોટી ભીડનું સંચાલન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટોકન એકત્ર કરવા હજારો લોકો ભેગાં થયાં ત્યારે નાસભાગમાં બુધવારે રાત્રે 6 લોકો માર્યા ગયાં હતાં.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ચેરમેન બી. આર. નાયડુએ જણાવ્યું હતું કે, ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને શુક્રવારથી યોજાનાર વૈકુંઠ દ્વાર દર્શનના 10 દિવસ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વીઆઇપી દર્શન શુક્રવાર સવારે 4:30 વાગ્યે શરૂ થશે જ્યારે સર્વ દર્શન સવારે 8 વાગ્યે શરૂ થશે.
તેમણે કહ્યું કે, આ 10 દિવસો દરમિયાન મંદિરમાં વરિષ્ઠ નાગરિકો, વિકલાંગો, બાળકો સાથેનાં માતા-પિતા, એનઆરઆઇ અને અન્ય લોકો સહિત વિશેષ દર્શનો રદ કરવામાં આવ્યાં છે. વધુ ભક્તોને વૈકુંઠ દ્વારમ દ્વારા દર્શન કરવા દેવા માટે ભલામણ પત્રો પણ આ સમયગાળા દરમિયાન સ્વીકારવામાં આવશે નહીં.
તેમણે જણાવ્યું કે, “અમે તિરુપતિના તિરુમાલા ખાતે કોઈપણ ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે વ્યવસ્થા કરી છે અને સુરક્ષા વ્યવસ્થા માટે 1550 ટીટીડી કર્મચારીઓ ઉપરાંત લગભગ 3000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે.
આ સમયગાળા દરમિયાન સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી સતત ભક્તોને પાણી અને અન્નપ્રસાદનું વિતરણ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નાયડુએ જણાવ્યું કે, તિરુમાલા જ્યાં મંદિર સ્થિત છે ત્યાં મર્યાદિત આવાસ ઉપલબ્ધ હોવાને કારણે માત્ર દર્શન ટોકન અથવા ટિકિટ ધરાવતાં ભક્તોને જ કતારોમાં જવાની મંજૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ભક્તોને તેમનાં ટોકન અથવા ટિકિટ પર ફાળવેલ તારીખ અને સમય પર જ આવવા વિનંતી કરવામાં આવે છે જેથી લાંબા સમય સુધી રાહ જોવી ન પડે. તિરુમાલા આવતાં શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાયડુએ તેમને માસ્ક પહેરવાની પણ વિનંતી કરી હતી.