Buenos Aires,તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા. ૫૭ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટિનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ૨ દિવસની મુલાકાતમાં, તેઓ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. આ પીએમ મોદીનો આર્જેન્ટિનાની બીજો પ્રવાસ છે. અગાઉ તેઓ ૨૦૧૮ માં ય્૨૦ સમિટ માટે અહીં આવ્યા હતા. આ વખતે તેમની મુલાકાત તેમના ૫ દેશોના પ્રવાસનો ત્રીજો પડાવ છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ માઇલી વચ્ચે સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગેસ, નવીનીકરણીય ઉર્જા, વેપાર અને રોકાણ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાતચીત થશે. મંત્રાલયે કહ્યું, ’આ મુલાકાત ભારત અને આર્જેન્ટિના વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.’ આર્જેન્ટિના જતા પહેલા પીએમ મોદીએ કહ્યું, ’આર્જેન્ટિના લેટિન અમેરિકામાં અમારો મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે અને ય્૨૦ માં નજીકનો સાથી છે. હું રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને મળવા માટે આતુર છું, જેમને હું ગયા વર્ષે મળ્યો હતો. અમે કૃષિ, મહત્વપૂર્ણ ખનિજો, ઉર્જા, વેપાર, પર્યટન, ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.’
આર્જેન્ટિના પહેલા પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે હતા, જ્યાં બંને દેશોએ ૬ કરારો પર હસ્તાક્ષર કર્યા. તેમને ત્યાં ’ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’ એનાયત કરવામાં આવ્યો, જે કેરેબિયન દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તે પ્રથમ વખત કોઈ વિદેશી નેતાને આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિના પછી, પીએમ મોદી બ્રાઝિલ જશે, જ્યાં તેઓ ૧૭મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને રાજ્ય મુલાકાત પર પણ રહેશે. તેમની મુલાકાતનો છેલ્લો પડાવ નામિબિયા હશે.
આ મુલાકાત ભારત અને આર્જેન્ટિના વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની એક શ્રેષ્ઠ તક છે. વેપાર અને ટેકનોલોજીથી લઈને સંરક્ષણ અને ઉર્જા સુધીના ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ભાગીદારીની અપાર સંભાવનાઓ છે. આ મુલાકાતમાં લિથિયમ પર પણ ચર્ચા થવાની શક્યતા છે, કારણ કે ભારત આ ખનિજ માટે ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ રીતે, પીએમ મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને પણ મજબૂત બનાવશે.