Washington,તા.૧૩
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં થયેલા દુઃખદ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ અકસ્માતને અત્યાર સુધીના હવાઈ અકસ્માતોમાં સૌથી ભયાનક અકસ્માત ગણાવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આ અકસ્માત “ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ભયાનક અકસ્માતોમાંનો એક” હતો. તેમણે વધુમાં કહ્યું, “આ એક ભયંકર અકસ્માત હતો. મેં ભારતને કહ્યું છે કે અમે તાત્કાલિક જે કંઈ કરી શકીએ તે કરીશું. ભારત એક મોટો અને મજબૂત દેશ છે, મને ખાતરી છે કે તેઓ આ પરિસ્થિતિને સંભાળશે, પરંતુ અમે અમારી તરફથી દરેક રીતે મદદ કરવા તૈયાર છીએ.” ટ્રમ્પે એવું પણ અનુમાન લગાવ્યું હતું કે અકસ્માતનું કારણ એન્જિનમાં ખામી હોઈ શકે છે, કારણ કે સામે આવેલા અકસ્માતના વીડિયોમાં, વિમાન સામાન્ય રીતે ઉડતું જોવા મળ્યું હતું અને એવું લાગતું ન હતું કે તેમાં કોઈ વિસ્ફોટ થયો હતો.
માત્ર ટ્રમ્પ જ નહીં, પરંતુ ઘણા વૈશ્વિક નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને “હૃદયદ્રાવક” ગણાવ્યું અને અસરગ્રસ્તોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે અકસ્માતની છબીઓને “વિનાશક” ગણાવી, જ્યારે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ શોક સંદેશો મોકલ્યા હતા.
તમને જણાવી દઈએ કે ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. વિમાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆર્િં૭૧, બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર, ટેકઓફ કર્યાના થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક મુસાફર, બ્રિટિશ મૂળના ભારતીય નાગરિક વિશ્વાસ કુમાર રમેશ બચી ગયા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને ભારતને શક્ય તમામ સહાયની ઓફર કરી હતી.
આ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ ૧૭૧, જે બપોરે ૧ઃ૩૮ વાગ્યે અમદાવાદથી ઉડાન ભરી હતી, તેમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો હતા. આમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ટેકઓફ થયાના માત્ર ૫૯ સેકન્ડ પછી, વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના મેસ પર ક્રેશ થયું, જ્યાં તે સમયે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા. આ અકસ્માતમાં જમીન પર રહેલા લોકોના પણ મોત થયા હતા, જેમાં ઓછામાં ઓછા પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ અને એક પીજી રેસિડેન્ટ ડૉક્ટરનો સમાવેશ થાય છે. અકસ્માત પછી ભારે ધુમાડો અને આગની જ્વાળાઓ જોવા મળી હતી. લંડન જતી લાંબી ફ્લાઇટ માટે વિમાનમાં ૧.૨૫ લાખ લિટર ઇંધણ ભરેલું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઊંચા તાપમાન અને ઇંધણને કારણે બચાવની શક્યતા ઓછી હતી. તેમ છતાં, કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ૪૧ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા.