તૂર્કિયેના ઉત્તર-પશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં રવિવારે રાતે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા અનેક ઈમારતો ધરાશાયી થઇ ગઈ હતી. ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક આવતા લોકોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. અધિકારીઓએ કહ્યું કે ભૂકંપને કારણે અનેક મકાનો ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. હજુ સુધી એકના મોતની પુષ્ટી થઈ છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપનું કેન્દ્ર કસ્બા સિંદિરગી હતું અને તેના આંચકા લગભગ 200 કિ.મી. દૂર ઈસ્તંબુલ સુધી અનુભવાયા હતા. જ્યાંની વસતી લગભગ 1.6 કરોડથી વધુ છે. સિંદિરગીના મેયર સેરકન સાકે કહ્યું કે ભૂકંપને કારણે વિસ્તારની અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. બચાવ ટુકડીએ હજુ સુધી ઘણા લોકોને બચાવ્યા છે. જોકે હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. એક મસ્જિદના મિનારા પણ પડી ગયા હતા.
તૂર્કિયેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે ભૂકંપ બાદથી અનેક આફ્ટરશોક આવતા લોકોમાં ડર ફેલાયો છે. જેમાં એકની તો તીવ્રતા 4.6 સુધી રહી હતી. એજન્સીએ લોકો નુકસાનગ્રસ્ત મકાન-ઈમારતોથી દૂર રહેવાની સલાહ આપી દીધી છે.