Jamnagar તા.24
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આ રોગચાળો પણ ધીરે-ધીરે પગ પ્રસરાવી રહ્યો છે. જામનગર શહેર અને લાલપુરમાંથી ચાંદીપુરા વાયરસના એક-એક શંકાસ્પદ કેસ સામે આવતા બન્ને બાળદર્દીને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ દાખલ વધુ બે બાળદર્દીના રિર્પોટ નેગેટીવ આવ્યા છે છતા સ્થિતિ ગંભીર હોવાથી આરોગ્ય તંત્ર માટે ચિંતાની સ્થિતિ યથાવત છે.
જામનગર તાલુકાના સિકકા ગામની 6 વર્ષની બાળકી અને લાલપુર તાલુકાના પડાણાની 5 વર્ષીય બાળકીનો ચાંદીપુરા રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગઇકાલે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સીન્ડીકેટ સોસાયટીમાં રહેતા 5 વર્ષીય બાળક અને લાલપુરના 11 વર્ષ અને 8 માસની ઉંમરના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જયાં બન્ને હાલ વેન્ટીલેટર પર સારવાર હેઠળ રખાયા હતા.
આ બંન્ને બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે આજે સવારથી જ બે દુ:ખદ સમાચાર એ આવ્યા છે કે લાલપુરના 11 વર્ષના બાળક અને શહેરના ગુલાબનગર વિસ્તારના બાળકનું દુ:ખદ મૃત્યુ થયું છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામના 2 વર્ષ અને 11 માસની ઉંમરનો બાળક વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે જો કે તેનો ચાંદીપુરા રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના 2 વર્ષ અને 11 માસના હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા બાળકની હાલત હાલ સુધારા પર છે અને તેનો ચાંદીપુરા રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
જામનગર તાલુકાના સિકકાની 6 વર્ષીય બાળકી હોસ્પીટલમાં ઓકસીજન પર છે. જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. લાલપુર તાલુકાના પડાણા 5 વર્ષીય બાળકી હોસ્પીટલમાં વેન્ટીલેટર પર છે. જેને રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
હાલ હોસ્પીટલમાં 4 બાળકો વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે.જે પૈકી બેના ચાંદીપુરા રીપોર્ટ નેગેટેવ આવ્યા છે. બે બાળકોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે એક બાળક ઓકસીજન પર છે. અનેક એક બાળકની હાલત સુધારા પર છે.