Ahmedabad,તા.૧૪
ગુજરાતભરમાં ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી કાર્તિક પટેલે જમીનની ડીલ સંબંધિત કામગીરી માટે જામીનની માંગણી કરી હતી. ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી પર સુનાવણી કરી અને તેમને બે દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણયને પગલે કાર્તિક પટેલ બે દિવસ માટે જેલમાંથી મુક્ત થશે. કોર્ટે પોલીસ જાપ્તા સાથે આ જામીન આપવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપી કાર્તિક પટેલે અમદાવાદની મુક્તિનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ખરીદેલી જમીનની વેચાણ ડીડની કામગીરી માટે જામીનની માંગણી કરી હતી. આ માટે તેમને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં શારીરિક હાજરી આપવાની જરૂર હતી. બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસ જાપ્તા સાથે અને આરોપીના ખર્ચે બે દિવસના જામીન મંજૂર કર્યા છે.
અમદાવાદ શહેરમાં ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા થયેલા કૌભાંડે રાજ્યભરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવદ શહેરની આજૂબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ લગાવી ગામની સામાન્ય અને ભોળી પ્રજાને ફસાવવામાં આવતી હતી. નિઃશુલ્ક કેમ્પના નામે લોકોને જરુર ન હોય તો પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડનો દુરુપયોગ કરી બોગસ ઓપરેશન કરવામાં આવતા હતા. બાદમાં આ કેસમાં નાણાકીય ગેરરીતિઓનો પણ ભાંડો ફૂટ્યો હતો.
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ કાર્તિક પટેલ, ડોક્ટર પ્રશાંત વજીરાણી, પંકીલ પટેલ, પ્રદીપ ભટ્ટ, ચિરાગ રાજપુત, રાહુલ જૈન અને મિલન્દ પટેલ એમ કુલ ૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ વિદેશમાં હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ૬૦૭૦ પાનાની ચાર્જશીટ દાખલ થયા બાદ કેસની સુનાવણી આગળ વધી રહી છે. જોકે હવે જમીનની ડીલ સબંધિત કામગીરી માટે કાર્તિક પટેલને મળેલા બે દિવસના જામીન મળ્યા છે.
આ ચાર્જશીટમાં કાર્તિક પટેલ સહિત અન્ય આરોપીઓની સામે ગંભીર આરોપો નોંધવામાં આવેલા છે. ચાર્જશીટમાં ૧૩૦ મહત્વના સાક્ષીઓના નિવેદનો, ૭ વ્યક્તિઓના કલમ ૧૬૪ હેઠળના નિવેદનો અને ૨૦ ઈલેક્ટ્રોનિક પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૩૪ બેન્ક એકાઉન્ટની વિગતો અને ૩૫ દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ઓડિટ સંબંધિત માહિતી પણ ચાર્જશીટનો ભાગ છે. અગાઉ આ કેસમાં ૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.
ખ્યાતિ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી પર ખોટા ઓપરેશન કર્યાનો આરોપ છે. તેમણે પણ જામીન અરજી કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ જ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોળિયા અને રાહુલ જૈનને હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે.