Rajkot,તા.13
અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં મુસાફરી કરતા હતા જે આજે અમદાવાદમાં ટેકઓફ બાદ થોડી સેકન્ડોમાં તુટી પડયું છે.
રાજકોટ મહાનગર વિહિપના અધ્યક્ષ વનરાજ ગેરૈયાએ જણાવ્યું કે તેમના માસી મુક્તાબેન ડાંગર દર છ છ માસ લંડન તેમના પુત્ર મયુર ડાંગરને ત્યાં જાય છે. તેમના પુત્ર અગાઉ ભાડે રહેતા તેમણે ઘરનું મકાન લીધું હોય તેમજ સગાઈનો પ્રસંગ પણ હોય તેઓ અમદાવાદથી આજે બપોરે ઉપડેલા આ વિમાનમાં નીકળ્યા હતા . આજે હું અને મુક્તાબેનની દિકરી વગેરે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાં ઘણા મૃતદેહો બળીને ખાખ થઈ ગયા હોય કોઈ ઓળખાયા નથી. દિકરીએ ડી.એન.એ.સેમ્પલ આપે છે જેનો રિપોર્ટ બે ત્રણ દિવસમાં આવશે. આ બનાવ અંગે રાજકોટ વિહિપના જિલ્લા મંત્રી વિનય કારીયાએ ઉપરોક્ત વિમાનમાં મુક્તાબેન હતા જેથી વિહિપ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમણે મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી છે. દરમિયાન રાજકોટ ચેમ્બરના અગ્રણી રાજુ જુંજાએ જણાવ્યા મૂજબ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એક એડવોકેટ પણ તેમની પુત્રીને મળવા માટે લંડન જતા હતા અને પ્લેનમાં મુસાફરી કરતા હતા. જ્યારે રાજકોટના હનુમાન મઢી વિસ્તારમાં રહેતા વેદ નામના એક મેડીકલના વિદ્યાર્થી અમદાવાદની મેડીકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા હતા અને આ બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થયું છે ત્યારે હોસ્ટેલની મેસમાં જમવાનો સમય હતો પરંતુ, આ વિદ્યાર્થી આજે જમવા ગયા ન્હોતા અને તેમનો બચાવ થયો છે.