Junagadh,તા.6
નવમી નવેમ્બર જુનાગઢ નો મુક્તિ દિવસ પણ છે. સરદાર વલ્લભભાઈ પટેલે આરઝી હકુમત લડત બાદમાં લોકમત લઈને બહાઉદીન કોલેજમાં ઐતિહાસિક પ્રવચન પણ આપ્યું હતું. 12 મી નવેમ્બર 1947 ની તેમની જૂનાગઢની મુલાકાત જૂનાગઢને માતૃભૂમિમાં જોડવા માટેનો ઐતિહાસિક દિવસ પણ છે. તેમણે જુનાગઢ થી કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદ અંગે કરેલું વક્તવ્ય રાષ્ટ્રની એકતા માટે પણ પ્રેરણા આપે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ના જુનાગઢ સાથેના આ જોડાણ અને ગૌરવને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો લોકોની સંસ્થાઓની સહભાગીતા સાથે યોજવાના છે. જેમાં સર્વ સમાજના લોકો, નાગરિકો, યુવાનો, સંસ્થાઓ, વહીવટી તંત્ર પણ સહભાગી થશે.
તા.9 નવેમ્બરના રોજ સવારે બહાઉદીન કોલેજ થી મોતીબાગ, સરદારબાગ, એસટી રોડ, થઈને સરદાર ચોક સહિતના માર્ગ પર 8.6 કીમીની ભવ્ય પદયાત્રા યોજાવાની છે. રૂટ પર એવી જ પ્લેટફોર્મ પણ બનાવવાશે જ્યાં વિવિધ સંસ્થાઓ પદયાત્રાનું અભિવાદન કરશે.
આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં પરંતુ લોકોનો કાર્યક્રમ બની રહે તે માટે સરકારી તંત્ર અને સંગઠન તેમજ સંસ્થાઓ સાથે મળીને આયોજન કરી રહ્યા છે. તા.9 નવેમ્બરના રોજ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે.આ કાર્યક્રમનું સંકલન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા કક્ષાએ યુવા વિકાસ અધિકારીની કચેરી કરી રહી છે.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, મેંદરડા પ્રાંત અધિકારી પ્રતીક જૈન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વિવિધ સમિતિ દ્વારા થઈ રહેલ સંકલન અને તૈયારી અંગે પ્રાથમિક માહિતી આપી હતી.

