Shimla તા.6
ઉતરાખંડ બાદ આજે હિમાચલપ્રદેશમાં મેઘતાંડવ સર્જાયુ હોય તેમ ભારે વરસાદથી કેટલાંક ભાગોમાં પુર સંકટ ઉભુ થયુ હતું. શાળા-કોલેજો-શૈક્ષણિક કાર્ય બંધ જાહેર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના રસ્તાઓ બંધ કરાયા હતા.
રાજયના કિન્નોર ક્ષેત્રમાં મૂશળધાર વરસાદ ત્રાટકયો હતો. જેને પગલે હલડાંગખાડમાં પૂર પરીસ્થિતિ સર્જાઈ હતી અને નેશનલ હાઈવે નંબર-5 બંધ થઈ ગયો હતો. કિન્નૌરના કમિશ્ર્નરે ડો. અમિતકુમાર શર્માએ ટવીટ કરીને કહ્યું કે બોર્ડરરોડ ઓર્ગેનાઈઝેશન સહિતની ટીમોને તૈનાત કરવામાં આવી છે. કોઈ જાનખુવારી નથી પરંતુ 400થી વધુ યાત્રાળુઓને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા આવતા ત્રણ દિવસ માટે હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંડીમાં સાત ઈંચ ભારે વરસાદથી બે નેશનલ હાઈવે સહિત 295 માર્ગો બંધ છે. રાજયમાં અત્યાર સુધીમાં 1852 કરોડનું નુકશાન છે.
રાજયમાં ભારે વરસાદની અસરે જનજીવન ઠપ્પ છે અને મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મંડી અને કુલુ વચ્ચે ભારે વરસાદથી ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ કરાયો છે.