Ahmedabad,તા.૧૩
ઉત્તરાયણ એટલે અમદાવાદીઓનો સૌથી પ્રિય તહેવાર અને કહેવાય છે કે આ તહેવાર માણવાની સાચી મજા તો પોળના મકાનોમાં જ આવે. અને એટલે જ પતંગરસિયાઓ માટે પોળના ધાબા ઉત્તરાયણમાં “હોટ ફેવરીટ ડેસ્ટીનેશન” બની જાય છે. જેને પગલે છેલ્લાં ઘણાં વર્ષોથી ઉત્તરાયણ માટે પોળના ધાબા ભાડે અપાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
“ટેરેસ ટુરીઝમ”ને પગલે પોળના અનેક ગરીબ અને મધ્યવર્ગના પરિવારને મદદ મળી રહી છે. અને તેમના આખા વર્ષનો અનાજ-પાણીનો ખર્ચો ઉત્તરાયણમાં જ નીકળી જતો હોવાની વાત પણ સામે આવી રહી છે. તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધાબા માટેની ઈન્કવાયરીમાં પણ વધારો થયો છે.
અમદાવાદના પોળ માટે આ અવસર એ “ટેરેસ ટુરિઝમ”નો અવસર બની જાય છે. હાલની વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં જ શહેરના કોટ વિસ્તાર એટલે કે પોળોમાં૮૦ ટકા કરતાં વધુ ધાબાઓનું બુકિંગ થઈ ગયું છે.
ગત વર્ષની સરખામણીએ આ વખતે ટેરેસના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટા ટેરેસનો ભાવ રૂપિયા ૫૦ હજારથી ૧ લાખ સુધી નોંધાયો છે. પણ પતંગરસિયાઓ આટલું ઊંચું ભાડું ચુકવીને પણ ઉત્તરાયણ માણવા ઉત્સાહિત છે.
મોટી સંખ્યામાં બહારના રાજ્યોમાંથી આવતા ગુજરાતીઓ તેમજ એનઆરઆઇ ટેરેસનું બુકિંગ કરાવતા હોય છે. તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અમદાવાદીઓ પણ ઉત્તરાયણ માણવાપોળમાં આવતા હોય છે. વર્ષ ૨૦૧૦થી આ “ટેરેસ ટુરિઝમ”નો કન્સેપ્ટ શરૂ થયાનું મનાઈ રહ્યું છે.
રાયપુર-ખાડિયા વિસ્તારમાં પણ ભાડામાં વધારો થયો છે. જો કે તેની સામે ધાબા ભાડે લેનાર ટુરીસ્ટને વિવિધ પેકેજ પણ ઓફર કરવામાં આવે છે. ટેરેસના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરા પાડે છે. જેમાં બ્રેકફાસ્ટ, લન્ચ અને હાઈટી આપવામાં આવે છે. ખાસ ઊંધિયા-જલેબીની જયાફત માટે વ્યવસ્થા કરવામાં આવે છે.તો ઘણાં સ્થળે તો પતંગ-દોરી પણ આપવામાં આવતું હોય છે. ડ્ઢત્નના તાલે ટુરીસ્ટો મ્યુઝિકની મજા પણ માણે છે અને સાંજે ફટાકડાં ફોડીને તેમનો આનંદ પણ વ્યક્ત કરતા હોય છે.