Vadodara,તા.10
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 570 કર્મચારીઓને કાયમી કરવા છેલ્લા 47 વર્ષથી લડત ચાલી રહી છે, ત્યારે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સાત સભ્યોની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિની બેઠક તારીખ 13 ના રોજ કોર્પોરેશન ખાતે મળી રહી છે. આ સમિતિ બેઠકમાં શું નિર્ણય લે તેના પર તારીખ 16 થી ભૂખ હડતાલ શરૂ કરવી કે નહીં તે નક્કી કરવામાં આવશે. આ સમિતિની રચના થયા બાદ હજુ સુધી બેઠક મળી ન હતી. દરમિયાન ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે તારીખ 16 થી ભૂખ હડતાલની ચીમકી આપતા તંત્ર દોડતું થયું હતું. ગઈકાલે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા અને આ મુદ્દે ચર્ચા કરી હતી.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આ પ્રશ્નનો સારો અને સચોટ ઉકેલ આવશે તેવો સધિયારો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 1977 થી આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી, તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે. 570 કર્મચારીઓને કાયમી કરવાના છે, તેમાંથી હાલ 115 હાજર છે. 70 થી 80 કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત છે. પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજએ જણાવ્યું હતું કે સમિતિની બેઠક તા.13 ને સોમવારના રોજ કૉર્પોરેશન ખાતે સાંજે 4 કલાકે મળવાની છે. જેમાં મને પણ હાજર રહેવા કહેવાયું છે. આ બેઠકમાં શું નક્કી થાય છે તેના પછી નિર્ણય કરાશે કે તા.16 થી હડતાળ પાડવી કે નહિ.