Vadodara,તા.18
વડોદરા નજીક આવેલા આસોજ ગામમાં રહેતા જનકભાઈ શાંતિભાઈ પટેલે બારોટ ફળિયામાં પોતાની છ રૂમો ભાડે આપી છે. રૂમ નંબર એકમાં છેલ્લા એક વર્ષથી બળવંતસિંહ અભેસિંહ પટેલ તેમજ તેની સાથે સુમિત્રાબેન નામની 40 વર્ષની મહિલા રહેતી હતી. બળવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રસુલપૂર ગામના વતની છે.
ગઈકાલે સાંજે તેમના નાના ભાઈ મહેશનો ફોન આવેલ કે બારોટ ફળિયામાં તમારી બંધ રૂમમાંથી દુર્ગંધ આવે છે. બાદમાં જનકભાઈ અને તેમનો પુત્ર બંને બારોટ ફળિયામાં જઈને જોતા રૂમ બહારથી બંધ હાલતમાં હતી અને અંદરથી સખત દુર્ગંધ મારતી હતી. રૂમ ખોલીને અંદર જતા સુમિત્રાબેન ધાબળો ઓઢેલી હાલતમાં સુતેલા હતા ધાબળો ખોલીને જોતા તેમની જીભ બહાર નીકળેલી હતી અને શરીર કાળુ પડી ગયું હતું. તેમજ તેઓ મરણ ગયેલ હાલતમાં હતા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા બે દિવસથી રૂમ બંધ હતી જ્યારે બળવંતસિંહનો ક્યાંય પત્તો ન હતો. આ અંગે જરોદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. મહિલાની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.