Vadodara,તા.30
વડોદરા મહાનગર પાલિકા દ્વારા પદાધિકારીઓ અધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભ પાછળ લગ્ન સમારંભની જેમ હવે લાખોના ખર્ચે થઈ રહ્યો છે. મિલન સમારંભ માટે માત્ર રૂપિયા 35,000 ફાળવવામાં આવે છે તેની સામે અંદાજિત ખર્ચ રૂ.ચાર સુધી પહોંચતા વિવાદ સર્જાયો છે.
વડોદરા મહાનગર પાલિકાના શાશકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હમેશા તત્પર રહે છે. પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ અને કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહ મિલન સમારંભ યોજાય છે. આ આયોજન નૂતન વર્ષ નિમત્તે યોજાય છે. ચાલુ વર્ષે કમાટીબાગ ખાતે 14 નવેમ્બરના રોજ મિલન સમારંભ યોજાયો હતો. આ મિલન સમારંભમાં એક લગ્નના આયોજનની જેમ ફરાસખાનાનું ડેકોરેશન, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને એ પણ HD, બેકડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથેનું મોંધુંદાટ ભોજન સામેલ હોય છે. આ તમામનો ખર્ચ અંદાજે રૂ.ચાર લાખથી વધુ થયો છે. આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા મિલન સમારંભ માટે ફાળવવામાં આવે છે માત્ર રૂ.35000/-. બાકીનો ખર્ચ અન્ય ફંડમાંથી કરવામાં આવે છે. આધારભૂત માહિતી મુજબ કાઉન્સિલરો માટે આયોજિત મિલન સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ રૂપિયા 500/- કરતા વધુનો છે. આ મિલન સમારંભમાં બન્ને પક્ષના મોટા ભાગના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. અહી મહત્વનું એ છે કે ધારાસભ્યો પણ સ્નેહ મિલન સમારંભ યોજે છે. જો કે ધારાસભ્યો આ આયોજનનો ખર્ચ પોતે ઉઠાવે છે. આથી વિશેષ મોટા ભાગના કાઉન્સિલરો ધનાઢ્ય છે અને તેમના માટે 500 રૂપિયાની થાળીની કિંમત નહિ બરાબર છે.
ભાજપમાં ચાલતી ચર્ચા પ્રમાણે ધારાસભ્યોની જેમ કોર્પોરેટરો એ પણ તેમના વિસ્તારમાં નૂતન વર્ષ નિમિત્તે મિલન સમારંભ યોજવા જોઈએ જેથી કાર્યકર્તાઓ અને લોકો સાથેનો સંપર્ક વધુ સારી રીતે થઈ શકે તેમ છે. ધારાસભ્ય પોતાના ખર્ચે સ્નેહ મિલન સમારંભ યોજી શકે તો કાઉન્સિલર કેમ નહિ ? કાઉન્સિલરોએ નૈતિકતા દાખવી આવા કાર્યક્રમો સ્વખર્ચે કરવા જોઈએ. બજેટ 35000 રૂપિયાનું હોય તો એ જ મર્યાદામાં ખર્ચ કરવાને બદલે તેનો ખર્ચ રૂ.4,00,000 સુધી પહોંચાડી દીધો છે.