વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તો વેરાના નાણા, વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં કોર્પોરેશન લઈ શકે છે
Vadodara,તા.૨૦
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ ૨૦૨૫-૨૬માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક આશરે ૬૩.૨૫ કરોડ રાખ્યો છે. અત્યાર સુધીમાં કોર્પોરેશનને વ્યવસાય વેરાની ૩૫.૫૮ લાખ આવક થઈ છે .કોર્પોરેશન દ્વારા તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા સૂચના આપી છે. આ મુદત પૂરી થવા આડે દશ દિવસ બાકી છે.
કોર્પોરેશનમાં પીઆરસી એટલે કે રજીસ્ટ્રેશનવાળા આશરે ૪૫ હજાર ખાતા છે, અને પીઈસી એટલે કે એમ્પ્લોયરના અંદાજે ૮૫,૦૦૦ ખાતા છે. વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તો વેરાના નાણા, વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં કોર્પોરેશન લઈ શકે છે. આ વેરો ભરવાનો થતો હોય પરંતુ હજી સુધી રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય અને વેરો પણ ભરેલો ન હોય તેવા કરદાતાઓને વેરો ભરી દેવા માટે જણાવાયું છે.
કામે રાખનાર નિયત સમયમાં અથવા ડિમાન્ડ નિર્દેશ કરાય તે તારીખ સુધીમાં વેરો ન ભરે તો બાકી લેણું અને વેરાની રકમના ૫૦% સુધી દંડને પાત્ર બને છે. ૨૦થી વધુ વ્યક્તિ કામે રાખનારે દર ત્રણ મહિને અને ૨૦ થી ઓછા કામે રાખનારને એક મહિને વ્યવસાય વેરો ભરવાનો હોય છે.