Rajkot,તા.21
સાહિત્ય સેતુ-રાજકોટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિને ૫૦૦થી વધુ લોકોએ કર્યું સમૂહ વાંચન
અહીં શહેરમાં દીકરાનું ઘર-ઢોલરા વૃદ્ધાશ્રજ્ઞ પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ-રાજકોટ દ્વારા ૧૯ જુન રાષ્ટ્રીય વાંચન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલ રાજકોટ મનપા સંચાલિત શ્રીમતિ સરોજિની નાયડુ ગર્લ્સ હાઈ.માં સમૂહ વાંચન કાર્યક્રમ યોજાયેલ. જેમાં સ્કૂલની છાત્રાઓ, સ્ટાફગણ, સાહિત્યપ્રેમી, પુસ્તકપ્રેમીઓ અને સંસ્થાના કાર્યકર્તાઓ મળીને અંદાજિત ૫૦૦થી વધુ લોકોએ એક કલાક સુધી પોતાના મનગમતા પુસ્તકનું સમૂહ વાંચન કર્યું હતું. આ નવતર પ્રયોગને ભારે સફળતા મળેલ.
સોમવારે માણાવદરમાં રક્તદાન કેમ્પ
માણાવદરઃ અહીં શહેરના ઉદ્યોગપતિ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. સુકાભાઈ આંત્રોલિયાની ૪થી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૩-૬-૨૫ના રોજ મયુર જીનિંગ એન્ડ પ્રા.લિ.ના સહયોગથી લોહાણા મહાજન વાડી-માણાવદર ખાતે સવારે ૮-૩૦ થી ૧-૦૦ સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરાઈ છે.
વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા રાજકોટ શહેર ભાજપ દ્વારા કાલે પ્રાર્થનાસભા
રાજકોટઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ તમામ દિવંગતો અને રાજકોટના પનોતા પુત્ર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે તા. ૨૩/૬/૨૫ સોમવારે સવારે ૧૦ કલાકે શહેર ભાજપ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. આ પ્રાર્થનાસભામાં રાજકોટ શહેર ભાજપના તમામ શ્રેણીના હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ શહેરના નાગરિકોને હાજર રહેવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની યાદીમાં અનુરોધ કરાયો છે.
પુનિત સદ્ગુરુ ભજન મંડળ દ્વારા મોરારિબાપુના પત્ની સ્વ. નર્મદાબેન તથા સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ
રાજકોટઃ શ્રી પુનિત સદ્ગુરુ ભજન મંડળ દ્વારા તાજેતરમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે સ્વ. શારદાબેન નથવાણીને ત્યાં વાણંક સમાજની વાડી ખાતે સ્વ. મંજુલાબેન વાજાને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ સંપન્ન થયેલ. આ તકે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી તેમજ રામાણીય મોરારિબાપુના ધર્મપત્ની સ્વ. નર્મર્દાબેનને પણ શ્રીરામ જય રામ જય જય રામ તથા ૐ નમઃ શિવાયની ધૂન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.
રાજકોટઃ વેવિશાળ પ્રશ્નોના નિરાકરણ માટે લોહાણા સમાજ વેવિશાળ કેન્દ્ર કાર્યરત
રાજકોટઃ બજરંગ ગૃપ ઓફ રાજકોટ સીટી લોહાણા સમાજના યુવક-યુવતીઓના વેવિશાળના પ્રશ્નોના નિરાકરણ માટે દર રવિવારે સાંજે ૫ થી ૭, રાધેશ્યામ કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફલોર, ગરેડિયા કૂવા રોડ ખાતે કાર્યરત રહે છે. વધુ વિગત માટે કિશોર કારિયા-મો. નં. ૯૪૨૮૨ ૫૪૦૦૮ અને હસુ ગણાત્રા મો. નં. ૯૮૨૪૧ ૫૪૧૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આજે બજરંગ ગૃપ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક રોપા, છોડ, ચકલીના માળા અને કુંડાનું વિતરણ
રાજકોટઃ બજરંગ ગૃપ ઓફ રાજકોટ સીટી અને પર્યાવરણ પ્રેમી રામભક્તના સહયોગથી દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડિયા કૂવા રોડ, રાજકોટ ખાતે યોજાતા નિઃશુલ્ક ચકલીના માળા (માટીના), કુંડા, રોપા, છોડનું વિતરણ વરસાદ પહેલાના સમયે પ્રકૃતિના સંરક્ષણ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે વન વિભાગના સેવા નિવૃત્ત વન અધિકારી હરેશ દવે, કિશોરભાઈ, ધનજી કારિઆ, રાકેશ દવે વિ.ના હસ્તે કરાશે.
નવા બનતા બિલ્ડીંગોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભોં ટાંકા બનાવવામાં આવેઃ ભાતેલિયા
રાજકોટઃ ભોં ટાંકા સમગ્ર ભારતમાં જીવંત કરવામાં આવે અને નવા બનતા બિલ્ડીંગોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભોં ટાંકા બનાવવામાં આવે તેવું સૂચન રાજકોટના જાગૃત નાગરિક રાજેશ ભાતેલિયાએ સૂચન કરતા જણાવ્યું છે કે, અગાઉના સમયમાં ભોં ટાંકા મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવતા હતા અને આ ભોં ટાંકા ખૂબ ઉપયોગી પુરાવા થતા હતા. જેમના ઘરે આ ટાંકાઓ અગાઉ બનાવેલા છે તેઓને તેને ફરીથી ઉપયોગમાં લેવા અને નવી સોસાયટીઓ બનતી હોય કે ફલેટ બનતા હોય તેમાં ભોં ટાંકા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ ‘લાફીંગ કલબ સરોવર’ પહેલા જ વરસાદમાં ઓવરફલો
રાજકોટઃ રાજકોટ લાફીંગ કલબ ગ્રુપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે રાજકોટના અલગ અલગ ગાર્ડનમાં સવારના ૬ થી ૭ વાગ્યા સુધી હાસ્ય થેરાપી સાથે શારીરિક કસરત કરીને લોકોને માનસિક અને શારીરિક નિરોગી રાખવા માટે ખૂબ સુંદર પ્રયાસ કરી રહેલ છે. લાફીંગ કલબ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રિચાર્જ કાર્યને વેગ આપવા માટે સુંદર મજાનું રાજકોટ શહેરના વિકસતા વિસ્તાર ૧૫૦ ફૂટ રીંગ રોડ, કટારિયા ચોકડીથી આગળ રંગોલી પાર્ક પાસે ‘લાફીંગ કલબ સરોવર’નું નિર્માણ કરવામાં આવેલ છે. આ સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો થયેલ છે.
વોર્ડ નં. ૧ના જનસેવા કાર્યાલયે વિવિધ સરકારી યોજનાની નોંધણીનો નિઃશુલ્ક કેમ્પ
રાજકોટઃ વોર્ડ નં. ૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાના જનસેવા કાર્યાલયે આજરોજ વિવિધ સરકારી યોજનાની નોંધણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ સરકારી યોજના રાશનકાર્ડ ઈ.કે.વાય.સી., આધારકાર્ડ મોબાઈલ લીંક, પોસ્ટ વીમા યોજનાં, સુકન્યા સમૃદ્ધિ યોજના વિ. જેવી યોજનાઓની નોંધણી માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વોર્ડ નં. ૧ના બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વિમાન દુર્ઘટનાના સ્વ. વિજયભાઈ રૂપાણી સહિતના તમામ દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલી
રાજકોટઃ અમદાવાદ ખાતે વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજરોજ સાંજે ૫ કલાકે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. સભામાં ઉપસ્થિત તમામ લોકોએ દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પી હતી.
સોમવારે ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસઃ શહેર ભાજપ રેસકોર્ષ ખાતે પ્રતિમાને પુષ્પાંજલી આપશે
રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન અને પ્રખર રાષ્ટ્રભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો તા. ૨૩ જુન સોમવારના રોજ બલિદાન દિવસ છે, જે અંતર્ગત સવારે ૮-૩૦ કલાકે તમામ બુથમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. ત્યારબાદ સવારે ૯ કલાકે શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલી અર્પવાનો કાર્યક્રમ રેસકોર્ષ ખાતે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને હાજર રહેવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે સહિતના હોદેદારોએ અનુરોધ કર્યો છે.