Veraval તા.17
ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા અંજના પવારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષાએ જિલ્લાના સફાઈ કર્મીઓના જીવનમાં સુધારો આવે, તેમનું પુનર્વસન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવા માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સમાજની અંતિમ પંક્તિમાં બેઠેલા સફાઈકર્મીઓ સમાજના સાચા સેવક છે. જેઓ સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રહેવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરે છે ત્યારે તેમની પ્રત્યે સંવેદના અને અનુકંપાથી કાર્ય કરવા માટે તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ઉપાધ્યક્ષએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાને મહત્વ આપે છે. તાજેતરમાં જ આપણે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરીને સ્વચ્છાગ્રહ કેળવવા સમાજને જાગૃત કર્યા હતા. સફાઈકર્મીઓ સમાજની ગંદકી સાફ કરીને સ્વચ્છ રાખે છે ત્યારે આવા કર્મીઓ તથા તેમના સંતાનોને જરૂરી લાભ તથા સહાય મળે એ જરૂરી છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, વિવિધ તાલુકાઓના ચીફ ઓફિસરો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ, સફાઈકર્મીઓ સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લાના નગરપાલિકાના અધિકારીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.