Jaipur, તા. 13
રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માના કાફલાને અકસ્માત નડ્યો હતો. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક ઉપરાષ્ટ્રપતિના કાફલામાં ઘુસી ગઈ હતી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર લઘુ ઉદ્યોગ ભારતીના સોહન સિંહ સ્મૃતિ કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ કાફલો સીતાપુરાથી જગતપુરાના અક્ષયપાત્ર સર્કલ પાસે આવી રહ્યો હતો.
આ દરમિયાન સીતાપુરા તરફથી આવી રહેલી ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ હતી. ટ્રક કાફલા સાથે ધીમી ગતિએ આગળ વધી રહી હતી. ટ્રાફિક પોલીસકર્મીએ પણ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાફલો તેજ ગતિએ ત્યાંથી પસાર થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બપોરે લગભગ 3 વાગે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાના બે વાહનોને એક ટેક્સીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ખુદ મુખ્યમંત્રી પોતાની કારમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન ડ્યુટી પોઈન્ટ પર તહેનાત એએસઆઈ સુરેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યું હતું.
કારને મુખ્યમંત્રીના કાફલામાં જતી જોઈને સુરેન્દ્ર સિંહ વચ્ચે આવી ગયા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, એક ઝડપી કારે તેને કચડી નાખ્યો હતો. કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું.