વિકી કૌશલનો પહેલો લૂક જાહેર કરીને ૨૦૨૬માં ક્રિસમસ દરમિયાન રિલીઝ કરવાની જાહેરાત કરાઈ હતી
Mumbai,, તા.૨૭
વિકી કૌશલની મેડોક ફિલ્મ્સ સાથેની બીજી ફિલ્મ ‘મહાવતાર’ની થોડી વધુ રાહ જોવી પડી શકે છે. શરૂઆતમાં ૨૦૨૬માં ક્રિસમસ દરમિયાન રિલીઝ થવાની હતી. પરંતુ એક અહેવાલ મુજબ, આ માઇથોલોજિકલ ફિલ્મ હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવી છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘લવ એન્ડ વૉર’ના શૂટિંગને કારણે આ ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ શકે છે.મેડોકની ‘મહાઅવતાર’ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવાનું હતું. પરંતુ હવે ‘મહાવતાર’નું શૂટ આગામી એપ્રિલમાં જ શરૂ થવાની ધારણા છે, જેના કારણે ડિસેમ્બર ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા ઓછી છે. આ વિલંબ વિકી કૌશલની સંજય લીલા ભણસાલીની પીરિયડ રોમાંસ ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ માટે તેણે ફાળવેલી તારીખોને કારણે હોવાનું કહેવાય છે, જે પૂરી થવામાં ધાર્યાં કરતાં વધુ સમય લાગી રહ્યો છે.અગાઉ, નિર્માતા દિનેશ વિજાને ૨ મેના રોજ વેવ્સ ૨૦૨૫માં પેનલિસ્ટ તરીકે હાજરી આપી હતી અને ભારતીય સંસ્કૃતિમાં મૂળ ધરાવતી વાર્તાઓ કહેવાનું કેટલું મહત્વપૂર્ણ છે તેના વિશે વાત કરી હતી. તેમણે વિકી કૌશલની આગામી ફિલ્મ, ‘મહાવતાર’ વિશે પણ અપડેટ આપી હતી અને તેને મેડોક ફિલ્મ્સનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રોડક્શન ગણાવ્યું હતું.અગાઉ એવા પણ અહેવાલ આપ્યો હતો કે વિકી કૌશલે સંજય લીલા ભણસાલી દ્વારા ડિરેક્ટ થઈ રહેલી તેમની આગામી ફિલ્મ, ‘લવ એન્ડ વૉર’ માટે લગભગ ૨૦૦ દિવસ ફાળવ્યા છે. શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ થયું હતું અને હવે આ શૂટ ૨૦૨૫ની શરુઆતના લગભગ ત્રણ સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ અભિનિત આ ફિલ્મ માર્ચ ૨૦૨૬માં રિલીઝ થવાની છે. વિકીએ ‘છાવા’ વખતે જાહેરમાં સ્વીકાર્યું છે કે, તેના માટે વજન વધારવું મુશ્કેલ હતું. લક્ષ્મણ ઉટેકરની ફિલ્મ માટે તેણે ૧૦૫ કિલો સુધી વજન વધાર્યું હતું પરંતુ લવ એન્ડ વોર માટે તેણે બધું જ ઘટાડવું પડ્યું.જ્યારે દિનેશ વિજાને ભારતીય સંસ્કૃતિમાં મૂળ ધરાવતી વાર્તાઓ કેટલી મહત્વની છે, તે અંગે ‘મહાઅવતાર’ની વાત કરતાં કહ્યું હતું, “મને લાગે છે કે આપણે ખૂબ જ રસપ્રદ સમયમાં છીએ. તમે કોઈ પ્રદેશને એક ઉદાહરણ તરીકે લો છો એને તેમાં પ્રવેશવાનું નક્કી કરો છો, તો સૌ પ્રથમ તે પ્રદેશને જાણો. મને લાગે છે કે, પેન્ડેમિક પછી, આપણે આખરે આપણે પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા છીએ. આપણને સમજાયું છે કે સામાન્ય માણસ માટે ફિલ્મ બનાવવાની જરૂર છે.”ગયા વર્ષે, વિકી કૌશલે મહાવતારનો પહેલો લુક શેર કર્યો હતો જે તરત જ વાયરલ થઈ ગયો હતો. આ લુક શેર કરતા વિકીએ લખ્યું, “દિનેશ વિજાન ધર્મના શાશ્વત યોદ્ધાની વાર્તાને જીવંત કરે છે! વિકી કૌશલ અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત ‘મહાવતાર’માં ચિરંજીવી પરશુરામની ભૂમિકા ભજવે છે. થિએટરમાં આવી રહી છે – ક્રિસમસ ૨૦૨૬!” આ ફિલ્મ દિનેશ વિજન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.