ગેરકાયદે રીતે ઓવર ડ્રાફટ ફેસેલીટી આપેલી હોય તેની વસુલાત બેંક કરી શકે નહીં, બચાવ પક્ષના વકીલ
Rajkot,તા.26
રાજકોટની વિજય કો. કો-ઓ. બેંકે ઓવર ડ્રાફ્ટ રકમ રૂ.૧૧ લાખ વસુલ મેળવવા કરંટ ખાતેદાર સામે કરેલો દીવાની દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. જે દાવામાં સહકારી કાયદા તેમજ બેંકના પેટા નિયમ વિરુધ્ધ જઈને આપવામાં આવેલ ઓવર ડ્રાફટની રકમ વસુલ મેળવી શકાય નહીં તેવી રજુઆતો ધ્યાને લઈ કોર્ટે દાવો નામંજુર કરેલો છે.આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં વિજય કોમર્શીયલ કો-ઓ. બેંક લી.એ રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ શહેરના સેતુ એન્ટરપ્રાઈઝના માલિક સુનિલ જયેન્દ્રભાઈ ત્રિવેદી સામે એવો દાવો કરેલ કે, સુનિલભાઈ ત્રિવેદી બેંકમાં ઘણા લાંબા સમયથી કરંટ એકાઉન્ટ ધરાવતા હોય, તેણે ઓવર ડ્રાફટ ફેસેલિટીની અરજી કરેલ અને અલગ અલગ સમયે આ ફેસેલીટીનો ઉપયોગ કરી બેંક પાસેથી રકમો મેળવેલ. જેમાં રૂ.૧૧,૦૧,૯૩૮ મેળવવા બેંકે દાવો દાખલ કરેલ. આ દાવામાં સુનિલભાઈ તરફથી ધારાશાસ્ત્રી નિલેશ જી. પટેલે બેંકના અધિકારીની ઉલટ તપાસ કરી એવો બચાવ લેવામાં આવેલ કે બેંકે ઓવરડ્રાફટ ફેસેલીટી અંગેના બેંકના નિયમો તેમજ ગુજરાત સહકારી અધિનિયમની જોગવાઈઓનું પાલન કર્યા વગર તેમજ કાયદાની જોગવાઈ બહાર જઈને આ ફેસેલીટી આપી છે. બેંકે ઓવરડ્રાફટ ફેસેલીટી કાયદેસર રીતે મંજુર કરેલ નથી. બેંકે ગેરકાયદેસર રીતે ઓવર ડ્રાફટ ફેસેલીટી આપેલ હોય તો તેની વસુલાત બેંક કરી શકે નહીં. રજુઆતો ધ્યાને લઈ કોર્ટે દાવો નામંજુર કરેલ છે. આ દાવામાં પ્રતિવાદી વતી સહકારી ક્ષેત્રના એડવોકેટ નિલેશ જી. પટેલ, રેખા ઓડેદરા, રીધ્ધી પીલોજપરા તેમજ સહાયકો દીપાલી નકુમ, ભાવિકા અમલ રોકાયા હતા.