Paris,તા,07
પેરિસ ઓલિમ્પિકસથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે. વિનેશ ફોગાટના ઓલિમ્પિકસમાંથી બહાર જવાના સમાચારથી કારણે કરોડો ભારતીયો નિરાશ થયા છે. આ દરમિયાન સરકારથી લઈને વિપક્ષ સુધીના તમામ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને પોતે આ મામલે ટ્વિટ કરીને વિનેશ ફોગટને સાંત્વના આપી છે અને IOA(Indian Olympic Association)ના અધ્યક્ષ પીટી ઉષા સાથે આ મામલે વાત કરી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.
નરેન્દ્ર મોદીએ આપી પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,’વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની હાર દુઃખ આપે છે. હું જે નિરાશાનો અનુભવ કરી રહ્યો છું તેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. પડકારોનો સામનો કરવો એ તમારો સ્વભાવ રહ્યો છે. તમે મજબૂત રીતે પાછા ફરશો. અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.’
વિનેશે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું : રાહુલ ગાંધી
વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘વિશ્વવિજેતા રેસલરને હરાવીને ફાઈનલમાં પહોંચનાર વિનેશ ફોગાટને ટેક્નિકલ આધારે અયોગ્ય જાહેર કરવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને પૂરી આશા છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂતીથી પડકારશે અને દેશની દીકરીને ન્યાય અપાવશે. વિનેશ હિંમત હારનારમાંથી નથી. અમને પૂરો વિશ્વાસ છેકે તે મજબૂત રીતે ફરી અખાડામાં પરત ફરશે. વિનેશ તમે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આજે આખો દેશ તમારી તાકાત બનીને તમારી સાથે ઉભો છે.’
હું ખૂબ જ નિરાશ છું:શશી થરૂર
રેસલર વિનેશ ફોગાટને યોગ્ય ઘોષિત કરવા પર કોંગ્રેસ નેતા શશી થરૂરએ કહ્યું હતું કે, ‘મારા માટે વિનેશની અત્યાર સુધીની મેળવેલી જીત ખુબ પ્રભાવશાળી રહી છે. તેણે સાહસ, ક્ષમતા અને દ્રઢ સંકલ્પનો પરિચય આપ્યો છે, તેણે આપણા સૌનું દિલ જીતી લીધું છે. ટેકનિકલ કારણોથી તેને અયોગ્ય ઘોષિત કરવાના સમાચારથી હું ખૂબ જ નિરાશ છું, મને ખબર નથી કે આવું કઈ રીતે થઈ શકે, શું આપણા કોચ બધા નિયમો અને સીમાઓનું પાલન કરાવામાં યોગ્ય નથી. મારા માટે દુઃખની વાત એ છે કે તેના તમામ પ્રયત્નોને જે લાયક હતો તે પુરસ્કાર મળ્યો નથી.’
સત્ય બહાર આવું જોઈએ: અખિલેશ યાદવ
આ અંગે સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘વિનેશ ફોગટને ફાઈનલમાં ન રમી શકવા માટે જે ટેકનિકલ કારણોની ચર્ચા કરવામાં આવી રહી છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, અને ખાતરી કરવી જોઈએ કે સત્ય શું છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.’
કરણ ભૂષણે આપી પ્રતિક્રિયા
આ બાબતે પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને સાંસદ કરણ ભૂષણે ભારતીય રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા પર કહ્યું, ‘આ દેશ માટે નુકસાન છે. ફેડરેશન તેના પર વિચાર કરશે અને જોશે કે આ મામલે શું કરી શકાય છે.’
અચાનક 100 ગ્રામ વધારે વજન
આપના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે, દુનિયા ભારતની સફળતાને સહન કરી શકતી નથી. અચાનક 100 ગ્રામ વધારે વજન હોવાની વાત ક્યાંથી આવી ગઈ?
વિનેશ ફોગટને કેમ ગેરલાયક ઠેરવવામાં આવી?
વિનેશ ફોગટ 50 કિગ્રા વજન કેટેગરીમાં ભાગ લઇ રહી હતી. તેનું વજન આજે થોડું વધારે થઈ ગયું છે, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશ ફોગાટનું વજન 50 કિલો 100 ગ્રામ આવ્યું છે.