Vadodara,તા.09
જમીન વેચાણમાં બિલ્ડર અને અધિકારીઓની મિલીભગતથી સરકારને આવકમાં નુકસાન જાય તેવા પેંતરા કરવામાં આવતા હોય છે. બોગસ ખેડૂત હોવા છતાં ખેડૂત ખેડૂત વચ્ચેનો વ્યવહાર થયો હોવાનું ખોટી રીતે પ્રસ્થાપિત કરી સરકારી દફતરમાં એન્ટ્રી પાડી દઈ સરકારને લાખો રૂપિયામાં આર્થિક નુકસાન કર્યાની વિગતો બહાર આવી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સર્વે નંબર 187 મૂળ જમીન માલિક ખેડૂત તરીકે વિનુભાઈ જીવાભાઈ પટેલ હતા. તેમણે વડોદરાના બિન ખેડૂત ભરત શંકરલાલ સોમાણી અને રામજીભાઈ પરબડીયાને જમીન વેચાણ કરી હતી. તેમ છતાં અધિકારીએ જમીન વેચાણનો વ્યવહાર ખેડૂત-ખેડૂત વચ્ચેનો હોવાનું પ્રસ્થાપિત કરી ખોટી રીતે જમીન એન્ટ્રી પ્રમાણિત કરવાની કાર્યવાહી કરી હતી. આ 8,145 ચોરસ મીટરના કિંમતી પ્લોટ ભરત સોમાણી અને રામજીભાઈના વારસદારોએ હરમાનભાઈ ચંદુભાઈ પટેલને વેચાણ કર્યો હતો. અગાઉ વિનુભાઈ જીવાભાઇ પટેલે ખેડૂતને જમીન વેચાણ આપી અને ત્યારબાદ બિન ખેડૂતે ફરી પાછી ખેડૂતને વેચાણ આપી હતી અને સરકારી ખોટા પુરાવાના આધારે જમીન બિનખેતી કરાવી દેવામાં આવી હતી.નિયમ પ્રમાણે ખેડૂત જમીન માલિક હોય તે બિન ખેડૂતને જમીન વેચાણ કરે અને ત્યારબાદ બિન ખેડૂત વ્યક્તિ ખેડૂતને ફરી પાછી જમીન વેચાણ કરે તેવા કિસ્સામાં ગણોતધારાની જોગવાઈનો ભંગ થતો હોય છે. ત્યારે સરકારે નક્કી કરેલી જંત્રીની રકમના 30% પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોય છે. જે અંગેનો આદેશ મહેસૂલ વિભાગે બહાર પાડેલો છે. તેમ છતાં ભરત સોમાણી અને રામજીભાઈ પરબડીયાના વારસદારોએ બારોબાર આ જમીનનો હરમાનભાઈ ચંદુભાઈ પટેલને દસ્તાવેજ કરી આપ્યો હતો. જમીન બિનખેતી થયા બાદ હરમાનભાઈ ચંદુભાઈ પટેલે રૂપિયા 7 કરોડની અવેજની રકમ જમા લઈ તેમણે ભરત સોમાણીને ફરી દસ્તાવેજ કરી આપ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે.
જમીન ખેતી કરાવવા પૂરતું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું હક પત્રક અને દસ્તાવેજમાં જણાવ્યું છે. 7 કરોડની અવેજની રકમ મૂળ વેચાણ આપનારએ સ્વીકાર કર્યો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. ભરત સોમાણીએ ફરી કરેલા દસ્તાવેજમાં જે રકમ હરમાનભાઇને આપી છે. કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પણ બહાર આવ્યું સરકારના ધારા ધોરણ પ્રમાણે છે. હરણી વિસ્તારમાં જમીનની જંત્રી પ્રમાણે રૂ.20.94 કરોડની કિંમત થાય છે અને નિયમભંગ બદલ તેની પર 30% પેનલ્ટી ગણવામાં આવે તો કુલ રૂ.62.85 કરોડની આવક સરકારે ગુમાવી હોવાનું કહેવાય છે.
આ વિવાદિત જમીન અંગે મામલતદાર કૃષિ પંચમાં સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ ચાલી રહ્યો છે. જેમાં જમીન માલિક વિનુભાઈ પટેલ અને જમીન લેનાર રામજીભાઈ પરબડીયા અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત જમીન ખરીદનાર ભરત સોમાણીને નોટિસ આપી જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીનના અધિનિયમ 1948 ની કલમ 63 ની જોગવાઈઓનો ભંગ થયો છે. જેથી આ તબદીલી અધિનિયમ 1948 ની કલમ 84 સી મુજબ શા માટે ગેરકાયદેસર ઠરાવી? આ જમીન સરકાર હસ્તક દાખલ કેમ ન કરવી? તે બાબતનું કારણ દર્શાવવા મામલતદાર અને કૃષિ પંચ વડોદરાની કોર્ટમાં ન્યાયના હિતમાં હાજર રહેવામાં આવે. મૂળ જમીન માલિકોએ જમીન તબદીલ લેનાર વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર હોય તો તે અંગેના પુરાવા વર્ષ 1951/52 થી હાલની છેલ્લી સ્થિતિના જમીન દફતરે પડેલી ફેરફાર નોંધોની વિગતો સાથે રજૂ કરવાની રહેશે તેમ નોટીસમાં જણાવ્યું છે.
300% પેનલ્ટી કરી જમીન મૂળ માલિકને પરત કરવી અથવા શ્રી સરકાર કરવાનો નિયમ
જમીન પર ૩૦૦ ટકા પેનલ્ટી વસૂલ કર્યા પછી શ્રીસરકાર કરવાની હોય છે જમીન માલિક ખેડૂતે જો જમીન બિનખેડૂતને વેચી હોય અને તે પછી ફરી બિનખેડૂતે તે જમીન ખેડૂતને વેચી હોય તેવા કિસ્સામાં રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી જમીન અંગેના નિયમોનો ભંગ કર્યો હોય તો ૩૦૦ ટકા પેનલ્ટી વસૂલ કરવાની હોય છે. અને તેની વસૂલાત બાદ આવી જમીન મૂળ જમીન માલિકને પરત કરવાની અથવા તો શ્રીસરકાર કરવાની રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકારના હૂકમ પ્રમાણે કૃષિપંચ કાર્યવાહી કરશે કે કેમ તે તેમના હુકમ બાદ જ માહિતી બહાર આવશે.
જમીન ખરીદનારના પરિવારના સભ્યએ સરકારને થયેલા નુકસાનની માહિતી આપી
હરણીના વિનુભાઈ પટેલ પાસેથી જમીન ખરીદનાર બિનખેડૂત રામજીભાઈ પરબડીયાના પરિવારના સભ્યએ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે કે, હરણી રેવન્યુ સર્વે નંબર 187ટીપી સ્કીમ નંબર એકના ફાઇનલ પ્લોટ નંબર 96 વાળી 8145 ચોરસ મીટર જમીન વડીલો પાર્જિત છે. અમારા પિતા રામજીભાઈ પરબડીયાની જમીન પર અમારા કાકા હરજીવનભાઈ પરબડીયાનો 25% તથા ભરતભાઈ સોમાણીનો હિસ્સો 50 ટકા હતો. જે જમીન તારીખ 13/7/2010ના રોજ નોટરી સમજૂતી કરાર કરી રૂ.1.14 કરોડમાં અમારા હિસ્સાની જમીન ભરત સોમાણીએ અવેજની રકમ છ બહેનોને ચૂક્ત આપી સમજૂતી કરાર કર્યો હતો. અમારા કાકાનો હિસ્સો 25% પણ ભરત સોમાણીએ અવેજની રકમ આપી હતી. જે તે સમય જમીનનો કબજો મૂળ જમીન માલિક વિનુભાઈ પટેલ પાસે હતો. તેઓ સાથે જમીનના કબજા બાબતે કોર્ટમાં વિવાદ ચાલતો હતો. જે વિવાદના સમાધાન પેટે ભરત સોમાણીએ અમારી જાણ મુજબ રૂ.4 કરોડમાં સમાધાન કરી જમીન પેટે કબજો છોડાવવા સમજુતી કરાર કરી ૨કમ આપી હતી. જે તેઓના બેન્કના સ્ટેટમેન્ટ અને સમજૂતી કરારની નકલ નોટિસ આપી મંગાવવામાં આવશે તો વધુ સ્પષ્ટ થશે. તેવી રજૂઆત કરી હતી.
આ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે આ જમીન ભરતભાઈ સોમાણીએ સમજૂતી કરાર કરી જાતે ખરીદ કરી છે અને ભાગીદારોનો 50% હિસ્સો તથા જમીન માલિક પાસેથી કબજો છોડવાના સમાધાન પેટે કુલ રકમ મળી 6.25 કરોડ સમજૂતી કરાર કરી ચૂકવવામાં આવ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ભરત સોમાણીએ સરકારની સ્ટેમ્પ ડ્યુટીની રકમ છુપાવી છે અને સમજૂતી કરાર કરી છે. કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ મિલક્ત બાબતની અવેજની રકમ ચૂકવવામાં આવે તો તેની કાયદેસર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે જે આજદિન સુધી સરકારમાં ભરપાઈ કરી નથી. એટલું જ નહિ અમારી પાસે સહી કરાવી ડાયરેક્ટ દસ્તાવેજ હરમાનભાઈ ચંદુભાઈ પટેલને પણ કરી આપવામાં આવ્યો હોવાની માહિતી છે જે સદંતર ગેરકાયદે છે આ દસ્તાવેજમાં દર્શાવેલી અવેજની રકમ પણ અમને આપવામાં આવી નથી, તેમાં પણ સ્ટેમ્પ ડ્યુટી છુપાવી હોવાની શક્યતાઓ છે. જેની તપાસ થાય તે જરૂરી છે.