Kathmandu, તા. 11
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. જેને રોકવા માટે સેનાએ ગોળીબાર કર્યો હતો. જેના પરિણામે, બે કેદીઓનાં મોત થયા અને અન્ય 10 કેદીઓને ગોળી વાગી હતી. નેપાળમાં સેનાનું નિયંત્રણ થયા બાદ ગોળીબારની આ પ્રથમ ઘટના છે.
આ પૂર્વે કાઠમંડુ જેલમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને પકડવામાં આવ્યો હતો. તે સોનાની તસ્કરીના આરોપસર પાંચ વર્ષથી નેપાળની જેલમાં હતો. આ ધરપકડ બિહાર-નેપાળ સરહદ પર કરવામાં આવી હતી. કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી નેપાળમાં બદલાયેલી પરિસિ્થતિને કારણે સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
આ દરમિયાન, બુધવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જેનું નામ મોહમ્મદ અબુલ હસન ઢાલી છે. ઢાલીએ કબૂલ્યું કે તે નેપાળમાં થયેલા જેલ બે્રકનો લાભ લઈને ભાગી આવ્યો છે. તે છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુની જેલમાં કેદ હતો અને ત્યાંથી ભાગીને રક્સૌલ પહોંચ્યો.
નોંધનીય છે કે, ઓલી સરકાર વિરૂધ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15,000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ સહિત ઘણાં રાજકીય નેતાઓના ઘરોમાં આગચંપી કરી હતી. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. બેકાબૂ ટોળા દ્વારા કેટલાક ટોચના નેતાઓને માર માર્યાની ઘટનાઓ પણ સામે આવી છે.
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો `Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટવીટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.