Noida,તા.25
કૃપાલુ મહારાજની મોટી પુત્રી વિશાખા ત્રિપાઠીનું ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર રવિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે જ સમયે, તેમની અન્ય બે પુત્રીઓ કૃષ્ણા ત્રિપાઠી અને શ્યામા ત્રિપાઠીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલો દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, ત્રણેય બહેનો સિંગાપોર જવા માટે દિલ્હી એરપોર્ટ તરફ જઈ રહી હતી. પોલીસ સ્ટેશન દનકૌર વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર 8 કિલોમીટરના બોર્ડ પાસે એક કન્ટેનરે તેમની ઈનોવા હાઈ ક્રોસ અને ટોયોટા કેમરીને પાછળથી ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં કુલ 8 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ તરત જ તમામ ઘાયલોને કૈલાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
વિશાખા ત્રિપાઠીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. શ્યામા ત્રિપાઠી અને કૃષ્ણા ત્રિપાઠીની હાલત હજુ પણ નાજુક છે. તેમની સારવાર વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
જગદગુરુ કૃપાલુ મહારાજ પ્રતાપગઢ જિલ્લાના માનગઢમાં ભક્તિધામ અને વૃંદાવનમાં પ્રેમ મંદિરના સ્થાપક હતા. તેમના મૃત્યુ પછી બંને મંદિરોનું સમગ્ર કામ તેમની પુત્રીઓ સંભાળે છે.
આ અકસ્માત આગ્રાથી નોઈડા જતા રોડ પર ગ્રેટર નોઈડા જિલ્લાના દનકૌર પાસે રવિવારે સવારે 8 વાગ્યે થયો હતો. જગદગુરુ કૃપાલુ મહારાજ ટ્રસ્ટે એક શોક સંદેશ જારી કર્યો છે. ડો. વિશાખા ત્રિપાઠીનાં અંતિમ સંસ્કાર વૃંદાવનમાં કરવામાં આવશે.