America,તા.11
અમેરિકામાં ટ્રમ્પ શાસન બાદ શરૂ થયેલા ટે્રડવોરથી વિશ્વભરનાં શેરબજારોમાં મંદીનો હાહાકાર છે ખુદ અમેરીકા પણ તેની ઝપટમાં આવી ગયુ હોય તેમ અમેરિકન ઈન્વેસ્ટરોનાં 4 ટ્રીલીયન ડોલર ડુબી ગયા છે.
અમેરિકામાં મંદીના ભણકારા લાગવા લાગતા વોલ સ્ટ્રીટમાં ગઈરાત્રે આક્રમક વેચવાલી વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. નાસ્ડેકમાં 4 ટકાનો કડાકો હતો જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો હતો.
ડાઉજોન્સ 900 પોઈન્ટ પટકાયો હતો 2022 પછીનો તે સૌથી ખરાબ દિવસ બન્યો હતો.એસ એન્ડ પી 500 ઈન્ડેકસ 2.7 ટકા તૂટતા ફેબ્રુઆરીનાં સર્વોચ્ચ સ્તરથી 8 ટકા નીચે આવી ગયો છે.
વેચવાલીનાં પ્રચંડ ટેકનોલોજી સહીત તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા પડયા દુનિયાના સૌથી ધનવાન એલન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં 15.4 ટકાનો કડાકો હતો એનવિડીયાનો શે 5 ટકા તૂટયો હતો મોટા, એમેઝોન, આલ્ફાબેટ સહીતની કંપનીઓનાં શેરોમાં પણ ગાબડા હતા,
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશનું અર્થતંત્ર પરિવર્તનના તબકકામાં હોવાનું વિધાન કરતાં જોરદાર ગભરાટ સર્જાયો હતો. મેકસીકો કેનેડા તથા ચીન સાથે ટ્રેડવોર અને ભારત સહીતનાં રાષ્ટ્રો સાથે આગામી મહિનાથી તે શરૂ થવાનું હોવાથી અર્થતંત્ર પર સંભવીત અસરનો ગભરાટ વધી રહ્યો છે.
ટ્રમ્પે વેપાર નીતિનો બચાવ કરતા એમ ક્હયું હતું કે સરકાર પોતાની સંપતી પાછી લાવી રહી છે. જોકે અર્થશાસ્ત્રીઓ ટ્રેડવોરની સ્થિતિ સામે ચેતવણી આપી રહ્યા છે. ટ્રમ્પ જે રીતે ટેરિફના દર લાગુ કરે છે તેનાથી મોંઘવારી ભડકશે અને વિકાસદર ધીમો પડવાની શંકા છે.
ટેરિફ વોર-આર્થિક નીતિને કારણે સંભવિત આર્થિક સ્લોડાઉનનો ઈન્કાર કરવાનું નકારતા ગભરાટ સર્જાયો હતો. આ નીતિ અર્થતંત્ર પર ખરાબ પ્રત્યાઘાત સર્જી શકે તેમ હોવાની ચિંતા વ્યકત થવા લાગી હતી. વ્હાઈટ હાઉસે પણ ટ્રમ્પનાં ટેરીફ, છટણી, રોકાણ જેવા નિર્ણયોનો બચાવ કર્યો હતો અને આ નીતિ ચાલુ જ રહેવાનું જાહેર કર્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશનું અર્થતંત્ર પરિવર્તનના દોરમાં હોવાનું જાહેર કરીને ટ્રેડ-ટેરીફ નીતિનો બચાવ કર્યો હતો. સાથોસાથ આ નીતિઓને કારણે આર્થિક સ્લોડાઉનનો ઈન્કાર કરવાનું ટાળ્યુ હતું. અર્થશાસ્ત્રીઓ એવી શંકા વ્યકત કરી રહ્યા છે કે ટ્રમ્પ દ્વારા આડેધડ ટેરિફ લાદવાની નીતિથી મોંઘવારી ભડકી શકે છે અને અર્થતંત્ર ધીમુ પડી જવાનું જોખમ સર્જાશે.
આ સંજોગોમાં ખૂદ અમેરિકા મંદીમાં સરકવા લાગે તેવી શકયતા નકારાતી નથી ગઈરાત્રે વોલ સ્ટ્રીટમાં જે પ્રચંડ કડાકો સર્જાયો તે અર્થતંત્રની ચિંતાનો જ પ્રત્યાઘાત હતો.