પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ચાલાક દુશ્મને પાકિસ્તાનના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે
Islamabad, તા.૭
પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ચાલાક દુશ્મને પાકિસ્તાનના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે. ભારતે જે યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યો છે તેનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમે તે જવાબ આપવા જઇ રહ્યા છીએ. આખો દેશ તેની સેના સાથે ઉભો છે. આપણી સેના અને લોકોનું મનોબળ ઊંચું છે. પાકિસ્તાની સેના અને લોકો દુશ્મનનો સામનો કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. અમે દુશ્મનના દુષ્ટ ઇરાદાઓને ક્યારેય સફળ થવા દઈશું નહીં. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કરવામાં આવેલા ભારતના હવાઈ હુમલા અંગે પાકિસ્તાનની અંદર ખળભળાટ મચી ગયો છે. ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો, જે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતે કહ્યું કે આ કાર્યવાહી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓની પ્રવૃત્તિઓને રોકવાનો હતો અને પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાનો નહોતો. ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઓપરેશન સિંદૂરનો એકમાત્ર ઉદ્દેશ્ય આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.” મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ નથી પરંતુ તે આતંકવાદ વિરોધી કાર્યવાહી છે.આ હવાઈ હુમલો પાકિસ્તાનના બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ જેવા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં સ્થિત ૯ આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષિત હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય વાયુસેનાએ સચોટ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો આવી ઘટનાઓ ચાલુ રહેશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે અને પાકિસ્તાને ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે અને તેને તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ભારતે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ છે, અને તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સાથે યુદ્ધ નથી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના નિવેદન પછી એ પ્રશ્ન પણ ઉભો થયો છે કે શું આ કાર્યવાહી બંને દેશો વચ્ચે સંભવિત સંઘર્ષની શરૂઆત છે કે પછી આતંકવાદ સામે આ વખતે બીજા મુકાબલા તરફ આગળ વધી રહી છે.