ધ ઇકોનોમિક્સ ઑફ વોટરના ગ્લોબલ કમિશન દ્વારા હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ પૃથ્વીની વોટર સિસ્ટમ પર અસર પડતી જોવા મળી રહી છે. ઘણાં દાયકાઓથી પાણીને લઈને બેજવાબદારી રાખવામાં આવી હોવાથી અને એની વેલ્યુને નજર અંદાજ કરવામાં આવી હોવાથી આ પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે.
વોટર સાઇકલ શું છે?
વોટર સાઇકલને હાઇડ્રોલોજિકલ સાઇકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી અને એની નીચે પાણીની હલનચલનને વોટર સાઇકલ કહેવાય છે. એમાં બાષ્પીભવન, પાણીનું ઘનીકરણ, વરસાદ અને વહેણનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના દરેક જીવ માટે આ સાઇકલ જાળવી રાખવી જરૂરી છે, કારણ કે એના દ્વારા પૃથ્વીના દરેક ખૂણામાં સ્વચ્છ અને તાજું પાણી પહોંચે છે. જમીન પર અને જમીનની નીચેના પાણીમાં સંતુલન હોવું જરૂરી છે.
અસંતુલનનું કારણ?
વોટર સાઇકલમાં અસંતુલનનું મુખ્ય કારણ માનવીય એક્ટિવિટીસ છે. જંગલો કાપી નાખવા, શહેરીકરણ અને ગમે તે રીતે ખેતી કરતાં વિજ્ઞાનમાંથી વિમુખ થવું. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્નમાં ફેરફાર થાય છે. આ તમામ કારણો સર સ્વચ્છ અને પીવાલાયક પાણીની ઉપલબ્ધિ પર ખરાબ અસર પડે છે. પાણીની સપાટી ઓછી થવાથી એની અસર ભવિષ્યની જનરેશન પર પડશે અને તેમને પાણીની તંગી વર્તાશે.

અસંતુલનના પરિણામો
અસંતુલનના પરિણામો ઘણા લાંબા સમય સુધી જોવામાં આવશે. ગીચ વસ્તીવાળા અને સઘન ખેતી કરતાં દેશો, જેમ કે ભારત, ચીન અને યુરોપમાં વિશેષ અસર પડશે. રિપોર્ટમાં પાણીને લઈને મોટી દુર્ઘટના થવાની ચેતવણી આપવામાં આવી છે. એના કારણે ખાદ્ય ઉત્પાદન, અર્થતંત્ર અને માનવ હેલ્થ પર ભારે અસર થશે. ખરાબ પાણી અને સેનિટેશનના અભાવે દરરોજ પાંચ વર્ષથી ઓછી વયના અંદાજે એક હજાર બાળકોના મોત થાય છે.
શું કરવું જોઈએ?
આ રિપોર્ટ ચેતવણીરૂપ છે કે, દુનિયાભરના દેશોએ ટકાઉ વોટર મેનેજમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પાણી ટકી રહે એ માટે કામ કરવું ખૂબ જ મહત્ત્વનું છે. એના કારણે વોટર સાઇકલનું બેલેન્સ પુનઃ સ્થાપિત થઈ શકે છે. નેચરલ વોટર સોર્સનું રક્ષણ કરવું, જરૂરીયાત એટલું જ પાણીનો ઉપયોગ કરવો અને વરસાદના પાણીના સંગ્રહ માટે જરૂરી રોકાણ કરવું ખૂબ જ મહત્ત્વનું છે.