UN,તા.25
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ બંને દેશોને ‘મહત્તમ સંયમ’ રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.
યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, ‘અમે ભારત અને પાકિસ્તાનની સરકારોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તેની ખાતરી કરવા હાકલ કરીએ છીએ.’
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા યુએનના પ્રવક્તા ડુજારિકે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને વાતચીત કરવી જોઈએ. અમારું માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો કોઈપણ મુદ્દો અર્થપૂર્ણ પરસ્પર વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે અને ઉકેલવો જોઈએ.’
આ હુમલા બાદ, બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં…
1. સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી
2. અટારી-વાઘા સરહદ બંધ કરી
3. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સસ્પેન્શન
4. રાજનૈતિક સંબંધો પર કાપ મુકવામાં આવ્યો
5. સરહદ પર કડક સુરક્ષા
પાકિસ્તાને ભારતની કાર્યવાહીને ‘યુદ્ધનું કૃત્ય’ ગણાવીને તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના કાર્યાલયે જણાવ્યું હતું કે, ‘સિંધુ જળ સંધિ હેઠળ પાણી અટકાવવાનો અથવા તેને વાળવાનો કોઈપણ પ્રયાસ ‘યુદ્ધનું કૃત્ય’ માનવામાં આવશે. પાકિસ્તાને ભારતીય નાગરિકો માટે વિઝા રદ કરીને, ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરીને અને તમામ વેપાર પ્રવૃત્તિઓ સ્થગિત કરીને બદલો લીધો.’