Maharashtra,તા.14
ઉર્દૂ સાઈનબોર્ડને હટાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, તેના પર સુપ્રીમ કોર્ટના જજ ભડકી ગયા હતા અને તેમણે તેના પર સખત વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે અરજદારને સવાલ કર્યો કે, ઉર્દૂ ભાષાથી શું તકલીફ છે. પાતુર મ્યુનિસિપલ કાઉન્સિલે ઉર્દૂ સાઈનબોર્ડને હટાવવાની માગ કરી હતી. નગર પરિષદનું નામ મરાઠી સાથે ઉર્દૂમાં પણ લખાયેલું છે.
મહારાષ્ટ્ર સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું
આ અરજી પર જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સુનાવણી કરી રહી હતી. તેમણે અરજદારને કહ્યું કે, ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં ઉર્દૂ ભાષા પણ સામેલ છે. આ સાથે જ કહ્યું કે ઉર્દૂ ભાષાના ઉપયોગથી વાંધો ન પડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 9 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
બંધારણની 8મી અનુસૂચિની ભાષા
કોર્ટે કહ્યું કે, તમને ઉર્દૂથી શું તકલીફ છે? તમે સમજો કે, આ બંધારણની 8મી અનુસૂચિની ભાષા છે. મ્યુનિસિપલ કાઉન્સિલ તેને આખા રાજ્યમાં લાગુ ન કરી શકે પરંતુ માત્ર એ જ ક્ષેત્રમાં કરી શકે છે જ્યાં એક ખાસ ભાષા જ સમજવામાં આવે છે. બેંચ બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચ તરફથી 10 એપ્રિલના રોજ જારી કરવામાં આવેલા આદેશ વિરુદ્ધ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરી રહી હતી.
અહેવાલ પ્રમાણે હાઈકોર્ટે તે સમયે કહ્યું હતું કે, નાગરિક સંસ્થાઓમાં રાજ્ય ભાષાની સાથે કોઈપણ ભાષામાં સાઈનબોર્ડ લગાવવા પર કોઈ પ્રતિબંધ નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અરજદારે સાઈનબોર્ડ હટાવવા માટે અકોલા જિલ્લા મરાઠી ભાષા સમિતિના અધ્યક્ષને આદેશ આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર લોકલ ઓથોરિટીઝ (ઓફિશિયલ લેન્ગવેજ) એક્ટ, 2022 હેઠળ, નાગરિક સત્તાવાળાઓના સાઈનબોર્ડ પર મરાઠી ઉપરાંત અન્ય ભાષાઓનો ઉપયોગ ન કરી શકાય.