New Delhi,તા.16
દેશમાં મોંઘવારીની લાંબા સમયથી સ્થિતિ વચ્ચે હવે સારા સમાચાર આવી રહ્યા છે અને નવેમ્બર માસમાં જથ્થાબંધ ભાવાંક ત્રણ માસના સૌથી નીચા 1.89% ના દરે પહોચતા હવે છુટક ફુગાવો પણ નીચો આવે તેવા સંકેત છે. સરકારે જારી કરેલા આંકડા મુજબ નવેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવો 2.36% માંથી ઘટીને 1.89% નોંધાયા છે.
ખાસ કરીને ખાદ્ય ચીજોમાં શાકભાજી અને ડુંગળીઓના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો નીચે આવ્યો છે. ગત વર્ષ જો કે આ દર 0.89% જ હતો. આમ એક વર્ષની સરખામણીમાં તે હજું ઉંચો છે. ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર જે ઓકટોબર માસમાં 13.54% હતો તે ઘટીને 8.63% રહી ગયો છે.
શાકભાજીના ભાવ સીઝનલ કારણોથી ઘટયા છે અને તેની અસર હવે છુટક ફુગાવા પર પણ થશે. જો કે બટેટાના ભાવમાં હજું મોંઘવારીની અસર છે અને તેમાં ફુગાવાનો સૂચક આંક 82.79% બની રહ્યો છે.
ડુંગળીમાં બમ્પર પાક બજારમાં આવતા તેનો ફુગાવાનો દર 2.85% થયો છે. જથ્થાબંધ બાદ છુટક ફુગાવો પણ ઘટશે તેના કારણે હવે આગામી વર્ષે વ્યાજદરમાં પણ રીઝર્વ બેન્ક રાહત આપી શકે છે.