New Delhi,તા.24
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ભયંકર હદે બગડેલી છે, એવા માહોલમાં પણ સરકાર દ્વારા એર પ્યોરિફાયર પર 18% GST વસૂલાતો હોવાથી દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે સરકારને ઠપકો આપીને GST દર ઓછો કરવા કહ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે કે, ‘આવી કટોકટીભરી સ્થિતિમાં પણ લોકોને સ્વચ્છ હવા આપી શકે એવા સાધનો પર આટલો ઊંચો ટેક્સ શા માટે રાખવામાં આવ્યો છે?’
પ્રદૂષણથી લોકોને થતી હાનિની ગંભીરતા સમજાવતા કોર્ટે કહ્યું હતું કે, ‘આપણે દિવસમાં લગભગ 21,000 વખત શ્વાસ લઈએ છીએ. એ હિસાબે શરીરમાં દાખલ થતાં પ્રદૂષકોને લીધે થનારા નુકસાનની ગણતરી કરો.’ આ ટીકા એક જાહેર હિત અરજી (PIL) પર ચાલતી સુનાવણી દરમિયાન આવી હતી. આ અરજીમાં એર પ્યોરિફાયર્સને ‘તબીબી ઉપકરણો’ની શ્રેણીમાં મૂકીને તેના પરના જી.એસ.ટી દરને માત્ર 5% કરવાની માંગ કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારના વકીલે જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં આ ટેક્સ દર તાત્કાલિક શા માટે ઘટાડી શકાતો નથી, તેનું સ્પષ્ટીકરણ માગ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ મુદ્દે નિર્ણય લેવામાં હજુ કેટલો સમય લાગશે? જ્યારે હજારો લોકો મરી જશે ત્યારે નિર્ણય લેશો? આ શહેરની દરેક વ્યક્તિને સ્વચ્છ હવાની જરૂર છે અને તમે એટલું પણ નથી કરી શકતા! ઓછામાં ઓછું એટલું તો થઈ શકે ને કે એર પ્યોરિફાયર જેવા સાધનો તેમને સુલભ બનાવી દો.’

