શિયાળાની ફુલગુલાબી ઠંડી સૌ કોઈને તાજગી આપે છે, પણ શિયાળે તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ લઈને આવી શકે છે, તેમાં વાળની સમસ્યા પ્રધાન છે. શિયાળામાં વાળની સમસ્યા જેવી કે, માથામાં ખોડો થઈ જવો, વાળ રૂક્ષ, શુષ્ક અને બરછટ થઈ જવાં, વાળનાં બે છેડાં થઈ જવા વગેરે સમસ્યાઓ શિયાળામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક લોકોને શિયાળામાં ખોડાની સમસ્યા પણ જોવા મળે છે. ખોડો એ વાળ માટે સૌથી મોટો શત્રુ છે. ખોડો જેને આપણે ઘચહગિેકક તરીકે ૫ણ ઓળખીએ છીએ. જે એક જાતની સફેદ ફોતરી હોય છે. આયુર્વેદમાં ખોડાને કફજન્ય રોગ તરીકે ગણાવેલ છે. જેમાં માથાની ચામડીમાં ચીકણી ફોતરીનાં થર બાઝી જાય છે. માથામાં કફ તથા વાયુનાં પ્રકોપથી તાળવું લુખું તથા કઠણ બની જાય છે. તેમાં ખૂબ ખંજવાળ આવે છે આને દારૂણક પણ કહે છે. ખોડાનાં કારણે વાળનાં મૂળિયા પણ ઢીલાં પડી જાય છે, અને વાળ ખરવા લાગે છે. માથા પરની જે ચામડી છે તેની અંદરનાં કોષોની તુટવાની અને ફરી નવા કોષો બનવાની પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે અને આ મૃતસેલ્સ જ માથાની ચામડીમાંથી સફેદ ફોતરી રૂપે નીકળે છે જેને આપણે ખોડો કે ઘચહગિેકક નાં નામે ઓળખીએ છીએ આ ઘચહગિેકક નાં લીધે વાળ લુખા અને શુષ્ક થઈ જાય છે અને વાળનું ખરવાનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી જ તો શિયાળની ઋતુમાં ખોડો ના થાય એ માટે પહેલેથી જ વાળની માવજત શરૂ કરી દેવી જરૂરી છે.
ખોડાની સારવાર :- ખોડોએ વાળનો વિચિત્ર અને હઠીલો રોગ છે. જે વાળની યોગ્ય માવજત અને અયુર્વેદીક ઉપચાર પધ્ધતિથી જડમૂળમાંથી મટી શકે છે. ખોડાંની સારવાર તાત્કાલિક જ કરાવી લેવી જોઈએ. અન્યથા ખીલ, સફેદ વાળ, શુષ્કવાળ અને ટાલ પડી જવી વગેરે વાળની કોઈ પણ સમસ્યા થઈ શકે છે. આયુર્વેદમાં ખોડાને જડમૂળથી કાઢવા માટે ”શિરોધારા” ની સારવાર ખૂબ જ અસરકારક સાબિત થયેલ છે. શિરોધારાથી ગમે તેવો હઠીલો ખોડો પણ જડમૂળમાંથી દૂર થઈ જાય છે. આ શિરોધારા અનુભવી વૈદ્ય કે ડૉક્ટર પાસે જ કરાવવી હિતાવહ છે. આ ઉપરાંત આભ્યાંતર ઔષધોમાં આરોગ્યવર્ધિની, ગંધક રસાયણ, મહામંજીષ્ઠાદિ વગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવું જોઈએ.
* વાળની વિશેષ માવજત માટે નીચેની બાબતો
(૧) સમતોલ અને પૌષ્ટિક આહાર લેવો.
(૨) વાળ સ્વચ્છ રાખવા.
(૩) નિમ્બતેલ, ધતુરપત્રાદિ તેલ કે કરંજતેલ વગેરેમાંથી કોઈ એકનું માથામાં અઠવાડીયામાં ત્રણ દિવસ માલિશ કરવું.
(૪) હરડે ચૂર્ણ અને ગોટલી ચૂર્ણને દહીમાં મેળવી માથામાં લગાવીને બે કલાક રાખવું. ત્યાર પછી વાળ ધોઈ લેવા. નિયમિત પ્રયોગ કરવાની ખોડો દૂર થાય છે.
(૫) રૂક્ષ અને શુષ્ક વાળ થઈ ગ્યા હોય તો જાસુદનાં ફૂલને વાટીને દહીં મેળવી માથામાં લગાવવાથી વાળની ચમક અને સુંદરતા જળવાઈ રહે છે.
(૬) કુંવારપાઠું, દૂધની મલાઈ, મધ અને મેથીનો પાવડર આ બધું મેળવીને માથમાં બે કલાક લગાવી રાખવું પછી વાળ ધોઈ લેવા.
(૭) વાળ ઓળવા માટે કાંસકા અને બ્રશ અલગ રાખવા.
(૮) આહાર ઠંડા કે વાસી દ્રવ્યો ના ખાવા.
સમતોલ અને પોષણયુક્ત આહાર વાળની તંદુરસ્તિ અને ચમક માટે ખૂબ જરૂરી છે. દૂધ, દહીં, લીલા શાકભાજી, ગાજર, મગ, મૂળા, કાકડી, ટામેટાં, બીટ, સલાડ વગેરે વાળ માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે.
નાળીયેરનું પાણી, મોળી છાસ, લીંબુનું શરબત, આમળા, બ્રાહ્મી વગેરે પણ વાળનો સ્વસ્થ રાખવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે.
વાળને સુંદર – સ્વસ્થ રાખવા માટે હર્બલ શેમ્પૂ અને હેરઓઈલ વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. હર્બલ શેમ્પૂથી ૨ થી ૩ વાર અઠવાડિયામાં વાળ ધોવા જોઈએ, કારણ કે ગંદા અને મલિન વાળ જલદીથી નબળા પડીને ખરવા લાગે છે, તેમજ હર્બલ તેલથી અઠવાડિયામાં ૧ થી ૨ વાર ઓઈલને સહેજ ગરમ કરી હળવા હાથે તેલનું મસાજ કરવાથી વાળને પોષણ મળી રહે છે અને તેનું સૌંદર્ય જળવાઈ રહે છે. ઉપરોક્ત ઉપાયો અને સાવધાની શિયાળામાં આપનાં વાળને સ્વસ્થ રાખવામાં અવશ્ય મહત્વની ભૂમિકા ભજવશે તેમાં શંકાને સ્થાન નથી.