Mumbai, તા.9
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાતા જ હવે બેંકોએ પણ ગ્રાહકોને વ્યાજદરનો ઘટાડો શરૂ કરી દીધો છે અને જાહેર ક્ષેત્રની બેંકોએ જે વ્યાજદર ઘટાડો કર્યો છે તેના કારણે બેંકના હાલના લોનધારક માટે વધુ લાભ મળે તેવી શકયતા છે.
એક તરફ આરબીઆઇએ છેલ્લી ત્રણ બેઠકમાં કુલ 1 ટકાનો ઘટાડો કર્યો પરંતુ બેંકો અત્યાર સુધી વ્યાજદરમાં ઘટાડામાં ધીમી ગતિ આગળ વધતી હતી પરંતુ હવે બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકે અનુક્રમે 50 અને 10 બેઝીક પોઇન્ટનો ઘટાડો કર્યો છે. જેના કારણે બીઓબીના પ્રાઇમ લેન્ડીંગ રેટ કે જેના આધારે અન્ય વ્યાજ નકકી થાય છે તે 8.15 ટકા થઇ ગયા છે.
જયારે પંજાબ નેશનલ બેંકે પણ તેના વ્યાજદરમાં 50 બેઝીક પોઇન્ટના ઘટાડા સાથે 8.35 ટકાનો બેઝીક દર રાખ્યો છે. બેંકો સામાન્ય રીતે રીઝર્વ બેંકના જે રેપોરેટ સાથે જોડાયેલા દર હોય છે તેના આધારે પોતાના ધિરાણ દર નકકી કરતી હોય છે.
બેંકીંગ ક્ષેત્રના જણાવ્યા મુજબ જે સ્પર્ધા છે તેના કારણે ઓછા વ્યાજદર તરફ તેના ગ્રાહકો ખેંચાઇ ન જાય તે માટે વર્તમાન લોનધારકોને વધુ લાભ થાય તેવી સ્થિતિ બનાવી રહી છે.
બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બેંક જેવી રાષ્ટ્રીયકૃત બેંક પણ રૂા. 30 લાખ સુધીની હોમલોનમાં અત્યાર સુધી 7.85 ટકાના ધોરણે ધિરાણ ઓફર કરતી હતી અને હવે વ્યાજદર ઘટાડો આવતા તેના દરો 7.25 ટકા સુધી પહોંચે તો પણ આશ્ચર્ય થશે નહીં.