Jamnagar તા ૧૦
જામનગરમાં નવાગામ ઘેડ નજીક આનંદ સોસાયટીમાં રહેતા એક મહિલા એડવોકેટ ઉપર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સે બાળકને કચરો કરવા અંગેની તકરારમાં હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને ઘરમાં તોડફોડ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ આનંદ સોસાયટીમાં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા તનીષાબેન તોષીફભાઈ બુખારી (ઉંમર વર્ષ ૨૭) કે જેઓએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ ઘરમાં રહેલા લોખંડના કબાટનો કાચ તોડી નાખી નુકસાન કરવા અંગે પાડોશમાં જ રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે રાજુબાપુ હુસેનભાઇ સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહિલા એડવોકેટ નો નાનો પુત્ર રમી રહ્યો હતો, જેનાથી કચરો થતાં પાડોસીએ કચરો નહીં કરવા બાબત તકરાર કરી હતી. જેથી મહિલા એડવોકેટે જણાવ્યું હતું, કે બાળક કચરો કરશે તો હું સાવરણીથી સાફ કરી દઈશ. તેમ કહેતાં આરોપી ઉશકેરાયો હતો, અને મહિલા એડવોકેટ પર ફડાકા વાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને ઘરમાં રહેલા લોખંડના કબાટનો કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું.
આથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે. જે બનાવવા અંગે પીએસઆઇ ડી.જી. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે. આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.