રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ)ના નિષ્ણાંત ફુલ ટાઈમ કેન્સર સર્જન ડો.શ્રેયસ ઢોલરીયાએ વર્લ્ડ લંગ્સ કેન્સર જાગૃતિ માસ નિમિતે માહિતી આપતા જણાવેલ હતુ કે આપણી છાતીમાં બે ફેફસા હોય છે. ફેફસા એ શ્વસન તંત્રનું ખુબજ અગત્યનુ અંગ છે. નાકમાંથી લીધેલો શ્વાસ (ઓકસીજન) ફેફસા મારફતે લોહી સુધી પહોંચે છે.
ડો.શ્રેયસ ઢોલરીયાએ જણાવેલ કે ફેફસાની કોશિકાઓ જ્યારે અનિયંત્રિત રીતે વૃદ્ધિ કરે ત્યારે ગાંઠ બની જાય છે. જેને ફેફસાનું કેન્સર કહેવામાં આવે છે. જેનુ મુખ્ય કારણ ધુમ્રપાન છે તેથી ધુમ્રપાન બંધ કરવાથી કેન્સરનો ફેલાવો અટકાવવામાં મદદ થાય છે. ફેફસાનું કેન્સરએ ચેપી રોગ નથી.
સામાન્ય રીતે ફેફસાના કેન્સરના નિદાન માટે સી.ટી.સ્કેન અને બાયોપ્સી જેવી તપાસ કરવામાં આવે છે. સી.ટી.સ્કેન દ્વારા કેન્સરનો ફેલાવો કેટલો છે તે જાણી શકાય છે અને બાયોપ્સી કરવાથી કેન્સરની વિસ્તૃત માહિતી મળે છે.
ફેફસાના કેન્સરની નિયમીત તપાસ માટે ઈડી સીટી સ્કેન (લો ડોસ સીટી સ્કેન)કરવામાં આવે છે. જે ૫૦ થી ૮૦ વર્ષની કોઈપણ વ્યકિત જે રોજ ધુમ્રપાન કરે છે. તેઓને નિયમિત સ્ક્રીનીંગ કરાવવું જોઈએ. કારણે કે તેઓને કેન્સર થવાની સંભાવના વધુ છે.
આ ઉપરાંત લક્ષણો જેવા કે ઉધરસ આવવી, ઉધરસમાં લોહી પડવુ, પીઠનો કે છાતીનો દુખાવો, ભુખ ન લાગવી, વજન ઘટવું, અવાજ બેસી જવો વગેરે હોય તેને કેન્સરની તપાસ અવશ્ય કરાવવી જેથી યોગ્ય તપાસ અને સચોટ સારવાર દ્વારા કેન્સરને જળમુળમાંથી હટાવી શકાય છે. સામાન્ય રીતે ફેફસાના કેન્સરની સારવારમાં જો સ્ટેજ-૧ નું કેન્સર હોય તો સર્જરી, સ્ટેજ-૨/૩ માં સર્જરી અથવા કિમોથેરાપી અને રેડીયોથેરાપી અને સ્ટેજ-૪ માં કિમોથેરાપી આપવામાં આવે છે.
ડો.શ્રેયસ ઢોલરીયાએ લોકોને ધુમ્રપાન ન કરવા અપીલ કરેલ છે. એ ઉપરાંત ફેફસાએ આપણા શરીરનુ મહત્વનુ અંગે છે તેથી તેને લગતા રોગોની સારવાર વહેલી તકે કરવી ખુબજ આવશ્યક છે. જો ઉપરાંત લક્ષણો દર્દીમાં જણાય તો આપના ફેમીલી ડોકટરની સલાહ લઈ તાત્કાલીક સારવાર લેવી જોઈએ જેથી સમયસર નિદાન અને સારવાર થઈ શકે. નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં કેન્સરને લગતી તમામ સારવાર રાહત દરે ઉપલબ્ધ છે.