Jamnagar,તા ૧૩,
જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક ખેડૂતે પોતાની વાડીના શેઠે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જે સ્થળે એક યુવાનને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખાવવા બદલ ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો ભુપત હરજીભાઈ ઠુંગા નામનો ૩૨ વર્ષનો માલધારી યુવાન કે જે ગઈકાલે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગામની ઉગમણી સીમ વિસ્તારમાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીન વિસ્તારમાં પહોંચ્યો હતો.
જ્યાં બેરાજા ગામના જ ખેડૂત કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના ખેડૂતે વાવેતર કર્યું હતું, અને કપાસના વાવેતર ની ફરતી કાંટાળી તાર ફીટ કરી હતી, જેની અંદર વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો. જે કાંટાળી તારમાંથી માલધારી યુવાન ભુપતને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ભુપતભાઈ ના ભાઈ રમેશભાઈ હરજીભાઈ ઠુંગાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એમ.એન. શેખ એ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત પોતાની વાડી ના શેઢે ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.