રૂ. 28 હજાર વ્યાજે આપી બેડીના વ્યાજંકવાદીએ બે ટુ વ્હીલર પડાવી લીધા
વ્યાજખોરને નાણાં ચૂકવવા દાગીના ગીરવે મુક્યા તો બેંકમાંથી છોડાવી દાગીના પણ પડાવી લીધા
Rajkot,તા.15
શહેરમાં પોલીસે અનેક લોક દરબાર યોજ્યા બાદ પણ વ્યાજખોરો બેફામ હોય તેવા અહેવાલ સાંપડી રહ્યા છે. બેડી ગામે રહેતા વ્યાજખોરે યુવકને રૂ. 28 હજાર કમ્મરતોડ વ્યાજે નાણાં આપ્યા બાદ બે સ્કૂટર અને ત્યારબાદ યુવકની પત્નીના દાગીના પડાવી લઇ રૂ. 2.10 લાખની પઠાણી ઉઘરાણી કરતા અંતે આ મામલે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો છે.
મામલામાં કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ નજીક ન્યુ ગણેશ સોસાયટીમાં રહેતા અને બોલેરો પીકઅપ વાહન ચલાવતા વિશાલભાઇ ગોવિંદભાઈ કેસુર (ઉ.વ.૩૪)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે છ માસ પૂર્વે પત્ની ભૂમિને કિડનીમાં પથરી થઇ જતાં તેના ઓપરેશન માટે મારે રૂ. 65 હજારની જરૂરિયાત ઉભી થઇ હતી. ભાનુ કાનગડનો સંપર્ક કરતા તેણે મારી પત્નીના નામે રહેલ એક્ટિવા ગીરવે મુકવુ પડશે તેમ જણાવ્યું હતું. મે વાહન અને તેની આરસી બુક આપતાં ભાનુએ મને 28 હજાર રૂપિયાં આપ્યા હતા અને દર મહિને ત્રણ હજાર વ્યાજ પેટે ચૂકવવા જણાવ્યું હતું. બે મહિના સુધી વ્યાજ ચૂકવ્યા બાદ હું વ્યાજ આપવા સક્ષમ ન હતો ભાનુએ મને સોરઠીયાવાડી સર્કલ નજીક બોલાવી મારૂ સ્પલેન્ડર પ્લસ વાહન જેના નંબર જીજે-03-એમજી-8644 બળજબરીથી પડાવી લીધું હતું.
વ્યાજખોરને નાણાં ચૂકવવા ફરિયાદીએ તેની પત્નીનો પેન્ડલ સેટ અને બે જોડી બુટી પર એક લાખની ગોલ્ડ લોન મેળવી હતી અને 70 હજાર લઈને બંને વાહન છોડાવવા જતાં તેણે નાણાં લઇ લીધેલ હતા. ત્યારે મે કહ્યું હતું કે, મારા બંને વાહન મને આપી દો, હું દાગીના ગીરવે મૂકીને પૈસા લઇ આવ્યો છું. ત્યારે ભાનુએ કહ્યું હતું કે, તારા દાગીના હું છોડાવી દવ છું કહી એક લાખની લોન ભરપાઈ કરી દાગીના પણ ભાનુ કાનગડ સાથે લઇ ગયો હતો.
વ્યાજખોરે ફરિયાદીના બંને વાહન તેમજ પત્નીના દાગીના પરત આપવા માટે હવે 2.10 લાખ આપવા પડશે તેમ કહીને આજદિન સુધી દાગીના કે વાહનો પરત નહિ આપતાં અંતે યુવકે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.