Jamnagarતા ૨૪,
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પાંચ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું છે. જેણે લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગર શહેરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ ચંદ્રકાંત જેઠવાણી, (જાતે: સિંધી ઉ.વ: ૨૮ વર્ષ) એ પોતાની સાસુ સાથે ના અણબનાવો ને લઈને ઘરકંકાસ થી કંટાળી જઇ ગત શનિવાર ના રોજ સવારના અરસામાં રણજીતસાગર ડેમ નજીક ખેતી માટે વપરાશ ની દવા નું વિષપાન કરતાં બેશુદ્ધ બન્યો હતો, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં પાંચ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું છે.
જે બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન ના એ.એસ.આઇ.ડી.જી. ઝાલા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી હતી.
યુવક દ્વારા લખેલી ચિઠ્ઠી પરિવાર ને હાથ લાગતાં તેમાં પોતે હારી થાકીને ગૃહ કંકાસ ના કારણે વિષપાન કરી રહ્યો છે, તેવો ઉલ્લેખ કર્યો હતો. જે ચાર પાનાની ચિઠ્ઠી મૃતક યુવાન દિલીપ ની માતા વિદ્યાબેન જેઠવાણી દ્વારા પોલીસને સુપ્રત કરાઈ હતી, જે ચિઠ્ઠી ના આધારે પોલીસ તંત્ર આગળની તપાસ ચલાવી રહ્યું છે.