Jamnagar,તા.22
મૂળ ઉત્તર પ્રદેશના વતની તેમજ હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ખોલી ભાડે રાખીને રહેતા અને મજૂરી કામ કરતા રણજીત હરીશકુમાર મૌર્ય નામના ૨૦ વર્ષના પર પ્રાંતિય યુવાને ગઈકાલે સાંજે પોતાના રૂમમાં લોખંડની આડશમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
જેથી ૧૦૮ ની ટુકડીને બોલાવી લેવામાં આવી હતી, અને તેઓએ નિરીક્ષણ કરતાં શ્રમીક યુવાન નું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા હરીશકુમાર ચંદ્રસેન મોર્ય એ પોલીસને જાણ કરતાં પંચકોથી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ગઈકાલે મૃતક યુવાનને પોતાની પત્ની રજની સાથે બોલાચારી થઈ હતી, અને તેનો મોબાઇલ પણ પત્ની એ લઈ લીધો હતો .જેથી પતિ રણજીત ને મનમાં લાગી આવતાં ગળાફાંષા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.