Nadiad,તા.16
નડિયાદમાં એમજીવીસીએલ અને મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન સામે જૂની સબજેલ તોડીને ખુલ્લા કરાયેલા પ્લોટ પાસે વીજ કરંટ લાગવાથી ખાણી-પીણીની લારી પર મજૂરી કરતા યુવકનું મોત નીપજ્યું છે. આ જ સ્થળે અગાઉ ત્રણ શ્વાન પણ કરંટ લાગવાથી મોતને ભેટયા હોવાની વિગતો મળી રહી છે.નડિયાદના રેલવે સ્ટેશન સામેના ખુલ્લા પ્લોટની ફેન્સિંગ પાસે સ્ટ્રીટ લાઈટના થાંભલામાંથી કરંટ ઉતરતો હતો. પહેલા આ જ જગ્યાએ ત્રણ શ્વાનને કરંટ લાગવાથી તેમના મોત થયા હતા. ત્યારે શ્વાનોને જોવા માટે યુવક ત્યાં ગયો હોવાની આશંકા વચ્ચે કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ, મોડી રાતે ૨ વાગ્યે વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કરંટ ઉતરતો બંધ કર્યો હતો. ગતરોજ મોડી સાંજે શરૂ થયેલા વરસાદ દરમિયાન આ ઘટના બની છે.જોકે, આટલા લાંબા સમય સુધી જીવલેણ કરંટ ચાલુ રહેવા દેવા બદલ તંત્રની ઘોર બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આજે, રવિવારે મોડી સાંજે ૫ વાગ્યાના અરસામાં પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.