Ambaji,તા.13
જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ દયાની મહાદેવી અને દેશ વિદેશના કરોડો હિન્દુ માઈ ભક્તો ને ધર્મ અનુરાગી લોકોને માડી અંબાના પ્રાગટય દિવસ પોષી પુનમની સંકલન માહિતી આપતા જણાવે છે.
આપણો દેશ વિશ્વના અતિ પૂરાણા સનાતન હિન્દુ ધર્મના અતિ ઊંડી અને અખંડ શ્રધ્ધા ધવતો દેશ છે જેથી આપણા દેશની પ્રજા અનેક દેવ-દેવીઓમાં અતૂટ શ્રધ્ધા સાથે નિયમીત પૂજાપાઠ કરે છે. આ પૈકી એક દેવી માં અંબા વિશ્વંભરી જનેતા છે. પૂરાણા ધાર્મિક ગ્રંથોના આધારે જગત માતા અંબાજીનો પ્રાગટય દિન પોષી પૂર્ણિમાં મનાય છે. માં અંબા વિશ્વંભરી જનેતા છે અને માતા સ્વરૂપ છે જેથી માં અંબાજી સૌથી પહેલા પ્રગટેલા માતૃશક્તિ છે. જેનો આપણા અનેક પૂરાણા ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આદિ અખિલેશ્વરી જગત જનની માં અંબાજીના પ્રાગટય દિન પોષી પૂર્ણિમાએ માતાજીના ચાર્ચર ચોકમાં માશક્તિ યજ્ઞ, ચંડીપાઠ અને ગરબા વિગેરેનું અતિભવ્ય આયોજન થાય છે. માં અંબાજીનું મૂળ પ્રાગટય સ્થળ ગબ્બર પર્વતની ટોચ છે. ત્યાથી માતાજીની અખંડ જ્યોત, માતાજીના મુખ્ય મંદિરે ધામ ધુમથી લાવવામાં આવે છે. આ દિવ્ય પ્રસંગે દેશ વિદેશના લાખો માઈ ભક્તો આ ધાર્મિક ભવ્ય ઉત્સવામાં ભાગ લેવા આવે છે.
આદિશક્તિ મહાશક્તિ અંબાજીની પૌરાણિક કથાને માન્યતાનું સંકલન
અંબાજીની શક્તિપીઠ છે. જાણીતી કથા પ્રમાણે, પિતા દક્ષાના યજ્ઞમાં પતિ શિવનું ભારે અપમાન થયું. તેથી સતી પાર્વતી યજ્ઞ કુંડમાં કુદી પડેલ. દેવાધિદેવ અત્યંત ક્રોધિત થઇ સતીનો અર્ધ દગ્ધ દેહ ખંભે લઈ ત્રાંડવ નૃત્ય કરવા લાગેલ જેથી ત્રણેય લોક ધુ્રજી ઉઠેલ. આ સમયે સતીના અંગો પૃથ્વી લોક ઉપર 51 સ્થળ પર પડેલ જેથી આ 51 સ્થળ શક્તિપીઠ ગણાય છે જ્યા દિવસ રાત માં ના ભક્તો માં ના ભજન ર્ક્તિન કરે છે.
આરાસુર પર્વત ઉપર દેવી સતીના હૃદયનો ભાગ પડેલ અને ત્યા અંબાજી શક્તિપીઠ રચાયેલ છે.
અંબાજી માતાના હાલના અતિ ભવ્ય અને દિવ્ય મંદિરથી અંદાજે ત્રણ કિલોમીટરના અંતરે માં ભગવતીનું મૂળ પ્રાગટય સ્થાન ગબ્બર આવેલ છે. આ ગબ્બર પર્વત ઉપર રહેલો ત્રાસો ખડક માતાજીના દુર્ગાનું દ્વાર ગણાય છે. લોક કથા પ્રમાણે મા અંબા દુર્ગમાં ઝુલા ઉપર ઝુલે છે. અને આજે પણ અનેક માઈ ભક્તો આ હિંડોળાનો અવાજ સાંભળે છે એવી દંતકથા છે. ગબ્બરના ગોખમાં જગત માતા અંબાની અખંડ જ્યોત સતત પ્રજ્જવલિત રહે છે જે મંદિરમાંથી પણ જોઈ શકાય છે.
લોક કથા મુજબ પરમાર રાજવી શ્રી જશરાજે પોતાની કુળદેવી અંબિકાનું પહેલુ વહેલુ મંદિર બંધાવેલ છે અને બીજી માન્યતા મુજબ માં અંબાની પ્રખર ભક્ત એક ગોવાળ દરરોજ ગબ્બરની આજુબાજુ ગાયોનુ ધણ લઈ ચરાવવા જતો. એ ધણમાંથી રોજ એક ગાય સાંજે એક ગુફામાં જતી. જેથી આ ગોવાળે એક દિવસ એ ગાય પાછળ જઈ ગુફામાં પ્રવેશેલ તો માતા અંબા હિરા મોતીના ઝુલે ઝુલતા હતા. ગોવાળે માતાજીના દર્શન કરેલ જેથી માતાજીએ ગાયની ચરાઈ રૂપે એને જવના દાણા આપેલ. જે જવના દાણા હિરામોતીમાં ફેરવાઈ ગયેલ એવી પણ એક લોક વાયકા છે.
સ્કંધપુરાણના અર્બુદખંડ વગે2ેને આધારે સમજાય છે કે અર્બદ (આબુ) પર્વતના એક ભાગ સ્વરૂપ આરાસુર પર્વત વિસ્તારમાં અંબાજીનું પીઠસ્થાન ઈ.સ. ના ત્રીજા-ચોથા સૈકાનું હશે. એવો એક મત મળે છે.અંબાજી મંદિર પાસેના કુંભારિયાના જૈન મંદિરોમાંથી મળેલા શિલાલેખોમાંથી સ્પષ્ટ થાય છે કે અહીં અગિયારમી સદીમાં આ2ાસણનગર હતું.
જૈનોના તીર્થંકર ભગવાન નેમિનાથના માઁ અંબા કુળદેવી હતા.ચાંવતીના પરમાર રાજાઓનું રાજ્ય જ્યારે આરાસુરના ગબ્બરમાં હતું ત્યારે પરમારવંશી રાજવી જશપાલે બારમી સદીમાં અંબાજી માતાનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર બંધાવેલ. જશપાલ પછીના તેજપાલે અંબાજી પાસેના દાતામાં ગાદી સ્થાપેલ. એ વંશના છેલ્લા રાજવી શ્રી ભવાનીસિંહ માઁ અંબાના પ્રખર ભક્ત અને ઉપાસક હતા.
અંબાજીના મુખ્ય મંદિરમાં માતાજીની મૂર્તિ નથી પણ વિસાયંત્ર છે. એ યંત્ર ઉપર સોના ચાંદીના પતરાની આંગી રચીને છત્ર, વાહન અને મુગટથી શણગારેલ છે. માતાજીને સવારે બાલા, બપોરે યુવા અને સાંજે વૃધ્ધા એ પ્રકારનો પોષાક પહેરાવી પુજા થાય છે. સાતેય દિવસે જુદા જુદા વાહનો ઉપર માતાજીની સવારી હોય છે. અંબાજી તંત્ર સંપ્રદાયની પણ સિધ્ધ શક્તિપીઠ મનાય છે. તેથી પુજા વિધીમાં તાંત્રિક પ્રભાવ વર્તાય છે.શ્રીયંત્ર માં કુલ નવ ચક્રો હોય છે. શ્રીયંત્ર એટલે શ્રીનું ઘર-નિકેતન. શ્રીયંત્રમાં માં જગદંબાનું વાસના શરીર છે. શ્રીયંત્ર સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સત્ય છે.