Rajkot,તા.28
કલા અને સંસ્કૃતિના પીપાસુ શ્રોતાઓને નિરંતર સાત દિવસો સુધી સુર, લય અને તાલના પ્રવાહમાં તરબોળ કરવાના આશયથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી નીઓ રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ’સપ્ત-સંગીતિ-૨૦૨૫’ ની સાતમી આવૃતિના આયોજનની તૈયારીઓ પુરજોશ સાથે શરુ કરી દેવામાં આવી છે. ૨૦૨૫ થી શરુ થતા નવા વર્ષમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તા. ૨ થી ૮ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. દર વર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાતેય દિવસ અલગ-અલગ કલાના ટોચના કલાસાધકો તેમના સહ-કલાકારો સાથે કલાની પ્રસ્તુતી કરશે.
સમાજ સેવા, શિક્ષણ તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન વર્ષ ૨૦૧૭ થી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાસ્ત્રીય સંગીતના સુર અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. જયારે છ વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ વખતે સાત દિવસ દરમ્યાન મુખ્ય, સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ ૫૫ થી ૬૦ કલાકારો શ્રોતાઓને કલાનું રસપાન કરાવશે. જેમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારો પં. અજોય ચક્રબર્તી, ઉ. તૌફિક કુરેશી, પં. સાજન મિશ્રા, ઉ. શાહિદ પરવેઝ ખાન, ડો. અશ્વિની ભિડે દેશપાંડે અને પં. તેજેન્દ્ર નારાયરન મજુમદાર જેવા અગ્ર પંક્તિના કલાકારોનો સમાવેશ થાય છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આ સમગ્ર આયોજન પાછળનો ઉદેશ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સમા શાસ્ત્રીય સંગીતને જાળવવા ઉપરાંત શાસ્ત્રીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ કૌશલ્યની પ્રસ્તુતીથી તેને પ્રચલીત બનાવવા અને રસ ધરાવતા કલા સાધકો તેમાંથી જ્ઞાન ગ્રહણ કરી, આ ભવ્ય વારસાને અપનાવી અને આગળ વધારી શકે તેવો ઉમદા ઉદ્દેશ છે. અગાઉના વર્ષો દરમ્યાન અહીં પધારતા દેશના ટોચના કલાકારો સાથે રાજકોટના કલાપીપાસુઓને મેળવી, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પ્રયાસોના ભાગ રુપે વર્કશોપ અને સેશનના આયોજનો પણ કરવામાં આવ્યા હત્તા, જે અંગે આ વર્ષે પણ પ્રયાસો કરાશે.
આપને વિદિત હશે કે, નીઓ રાજકોટ ફાઉન્ડેશન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાને યુવાઓ અને કલાપ્રેમી શ્રોતાઓ સુધી પહોંચાડવા ઉપરાંત વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન ‘પ્રયાસ’ અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને ખાનગી શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં કુલ ૨૧ શાળાઓમાં નિઓ સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે અને વધુ ૦૩ શાળાઓમાં શરુ થવાનું છે. આ ૨૧ શાળાઓમાં ૭૦૦૦ થી વધુ બાળકોને ૩૦ થી વધારે તાલીમબધ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્ટવેર, ઓડીયો-વિઝયુઅલ લર્નીંગ મટીરીયલ અને ૬૦૦ થી વધુ લેપટોપ કોમ્યુટર દ્વારા શીખવવામાં આવે છે. આ ઉપરાંત નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા ધો. પાંચના રાજકોટ કોર્પોરેશનની તમામ ૯૩ શાળાના ૪૦૦૦ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન-સેતુ પરીક્ષાની તૈયારી માટે સંકલિત મટિરિયલની એક પ્રેક્ટિસ બુક તૈયાર કરાવી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તાજેતરમાં બે સરકારી શાળાઓમાં બાળકો માટે કંઠય સંગીત, નૃત્ય, તબલા અને હાર્મોનિયમના નિયમીત વર્કશોપના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેથી રસ-રુચી ધરાવનાર બાળકોને પ્રોત્સાહિત કરી શકાય અને આગળ જતા તેમની કારકિર્દીમાં પણ આ કલા નિમિત બની શકે.
સપ્ત સંગીતિની આઠ વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજી, પં. હરિપ્રસાદ ચૌરસિયાજી, બેગમ પરવીન સુલતાના, સુશ્રી કૌશીકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, ઉસ્તાદ રશીદ ખાન, સુ.શ્રી. ડો. એન. રાજમ, સુ.શ્રી. શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, શ્રી અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, શ્રી પુરબયાન ચેટરજી, શ્રી ગુંડેચા બ્રઘર્સ, શ્રી રોનુ મજુમદાર, પં. રાકેશ ચોરસીયા, પં. દેબોજયોતિ બોસ, પં. દેબાશિષ ભટ્ટાચાર્ય જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ પ્રાપ્ત કરવાનો મોકો નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.
ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર “સપ્ત સંગીતિ ૨૦૨૫” માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા ૦૨ જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શરુઆત કલર્સ ઓફ રીધમ ટ્રીઓ ગ્રુપમાં ઉસ્તાદ તૌફીક કુરેશીનું ડીજેમ્બે, પં. રામદાસ પલસૂલેના તબલા વાદન અને શ્રી મિલિંદ તુલેંકરના જલ તરંગથી થશે. તા. ૦૩ જાન્યુઆરીના રોજ પં. સાજન મિશ્રા અને તેમના પુત્ર શ્રી સ્વરાજ મિશ્રાનું શાસ્ત્રીય કંઠય સંગીત માણવા મળશે. તા.૦૪ ના રોજ પં. તેજેન્દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન, તા.૦૫ ના રોજ ચિરાગ કટ્ટીના વર્લ્ડ મ્યુઝિક ફ્યુઝન બેન્ડમાં સિતાર, તબલા, ડ્રમ્સ, કીબોર્ડ અને સેક્સોફોન જેવા વાજિંત્રોનો સંગમ જમાવટ કરશે. તા. ૦૬ જાન્યુઆરીના રોજ ઉ. શાહિદ પરવેઝ ખાનનું સિતારવાદન અને શ્રી શશાંક સુબ્રમણ્યમનું બાંસુરી વાદન માણવા મળશે. તા. ૦૭ જાન્યુઆરીના રોજ ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાસ્ત્રીય કંઠય સંગીત અને સપ્ત સંગીતીના અંતિમ દિવસે એટલે કે તા. ૦૮ જાન્યુઆરીના રોજ પં. અજય ચક્રબર્તીના કંઠે શાસ્ત્રીય સંગીતના ઠુમરી અંગનો આસ્વાદ માણવાનો મોકો મળશે. આ સાતેય દિવસ દરમ્યાન તમામ દિગ્ગજ કલાકારો સાથે સંગત કરવા વિવિધ વાદ્યોના ઉત્તમ અને પ્રતિષ્ઠિત કલાકારોમાં પં. સાજન મિશ્રાજી સાથે રાજકોટના જાણીતા કલાકારો શ્રી પલાશ ધોળકિયા હાર્મોનિયમમાં અને શ્રી નીરજ ધોળકિયા તબલામાં સાથ આપશે. અન્ય કલાકારો સાથે શ્રી વિનાયક સહાય સારંગી વાદન, પં. સંજુ સહાય તબલાવાદન, શ્રી શશાંક સુબ્રમણ્યમ બાસુરી વાદન, શ્રી ઓજસ અઢિયા તબલા વાદન, શ્રી અમૃત નટરાજ ખંજીરામાં, શ્રી સિધ્ધેશ બિચોલકર હાર્મોનિયમ વાદન, શ્રી યતી ભાગવત તબલાવાદન, શ્રી જ્યોતિર્મય બેનર્જી હાર્મોનિયમ વાદન અને ઈશાન ઘોષ તબલાવાદનમા સાથ નિભાવશે.
આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે ફકત આપણા શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ-અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. જેમાં તા. ૦૨ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાતા સપ્તક સંગીત સમારોહના સ્થાપક અને સંચાલક કે જેનું તાજેતરમાં અવસાન થયેલ છે જે સપ્ત સંગીતિના માર્ગદર્શક પણ હતા તેવા સ્વ. વિદુષી મંજુબેન મહેતાને શ્રદ્ધાંસુમન અર્પણ કરવામાં આવશે. તા.૦૩ ના રોજ શ્રી નંદીની શંકર અને શ્રી મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ ડ્યુઓ માણવા મળશે. તા.૦૪ ના રોજ શ્રી મનીષ વ્યાસ એન્ડ ટ્રુપ દ્વારા ફ્યુઝન મ્યુઝિક પેશ કરવામાં આવશે. તા. ૦૬ જાન્યુઆરીના રોજ ડો. દુલારી માંકડ દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત અને તા. ૦૭ ના રોજ શ્રી વર્ણા જય સેવક દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે ‘સપ્ત સંગીતિ’ ની વેબસાઈટ www.saptasangeeti.org પર તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૪ ને સાંજે ૫-૦૦ કલાકથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દીપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા, શ્રી અતુલભાઇ કાલરિયા, શ્રી વિનેશકુમાર પટેલ અને શ્રી મનિષભાઈ મદેકા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ ઉપરાંત કોર કમીટીના સભ્યો અને સ્વયંસેવકોની સમર્પિત ટીમ દ્વારા ગત છ વર્ષો દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમો માણવા આવતા કલાપ્રેમીઓની ડિજીટલ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી પ્રવેશ માટેની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. જેના માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકોની તમામ વ્યવસ્થાઓને ખુબ વખાણી છે. ગત વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો સૌરાષ્ટ્રવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે.