સાંસારીક મોહના લીધે જ મનુષ્ય હું શું કરૂં અને શું ના કરૂં? આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત થઇ જાય છે એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ..શરીર નાશવાન છે અને તેને જાણનાર અશરીરી આત્મા અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન કરવું..આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.
નિષ્કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.. કર્મ બંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો..મનુષ્યએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ કારણ કે તેનાથી પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.
કોઇપણ સાધનથી અંતઃકરણમાં સમતા આવવી જોઇએ.સમતા આવ્યા વિના મનુષ્ય નિર્વિકલ્પ થઇ શકતો નથી..તમામ પ્રભુરૂ૫ છે..આવો સ્વીકાર કરવો સર્વશ્રેષ્ઠ સાધન છે..અંતકાળે જેવું ચિંતન તે અનુસાર જીવની ગતિ થાય છે એટલે શ્વાસેશ્વાસે ભગવાનનું સુમિરણ કરતાં કરતાં પોતાના કર્તવ્યકર્મોનું પાલન કરવું જોઇએ,જેથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.
તમામ મનુષ્ય ભગવત્પ્રાપ્તિના અધિકારી છે,પછી તે ગમે તે વર્ણ,આશ્રમ,દેશ વગેરે ના કેમ ના હોય? સંસારમાં જ્યાં પણ વિલક્ષણ વિશેષતા,સુંદરતા,મહત્તા,બલવત્તા..વગેરે જોવા મળે તેને ભગવાનનું જ રૂપ માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ..આ જગતને ભગવાનનું સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.
જે ભક્ત શરીર ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય થાય છે..સંસારમાં એક પરમતત્વ જ જાણવા યોગ્ય છે,તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્તિ થાય છે.. સંસાર બંધનથી છુટવા માટે સત્વ,રજ અને તમ આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્યભક્તિથી મનુષ્ય આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે.
આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે..એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ..દુર્ગુણ-દુરાચારોથી મનુષ્ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે એટલે જન્મ-મરણના ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.
મનુષ્ય શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે છે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.. તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે.
વ્યર્થની ચિંતા કેમ કરો છો? કોનાથી ડરો છો? તમને કોન મારી શકે તેમ છે? આત્મા જન્મ-મરણથી રહિત છે.ભૂતકાળમાં જે કંઇ થયું સારૂં જ થયું,વર્તમાન સમયમાં જે થઇ રહ્યું છે તે સારૂં જ થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઇ થશે તે સારૂં જ થશે.તમે ભૂતકાળનો પશ્ચાતાપ ના કરો,ભવિષ્યની ચિંતા ના કરો,વર્તમાન સુધારો.
તમારૂં શું ગયું છે કે તમે રડો છો? તમે જન્મ સમયે સાથે શું લઇને આવ્યા હતા કે જે તમે ગુમાવ્યું છે? તમે શું પૈદા કર્યું છે કે જેનો નાશ થયો છે.તમે જન્મ સમયે કશું લઇને આવ્યા નહોતા અને મૃત્યુના સમયે કશું સાથે લઇને જવાના નથી.જે કંઇ મળ્યું તે અહીયાં આવ્યા બાદ પ્રભુએ આપ્યું છે અને મૃત્યુના સમયે અહી જ આપીને જવાનું છે.
ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ.જે આજે તમારૂં છે તે ગઇકાલે બીજા કોઇનું હતું અને આવતીકાલે તે બીજા કોઇનું થઇ જવાનું છે તેને પોતાનું સમજો છો તે જ તમારા દુઃખનું કારણ છે. પરીવર્તન સંસારનો નિયમ છે.તમે જેને મૃત્યુ સમજો છો તે જ જીવન છે.એક ક્ષણમાં તમે કરોડોના સ્વામી બની જાઓ છો અને બીજી ક્ષણે તમે દરિદ્ર બની જાઓ છો.
મારૂં-તારૂં,નાના-મોટા,પોતાના-પારકાની ભાવના મનમાંથી કાઢી નાખશો તો તમામ તમારા છે અને તમે તમામના છો.આ શરીર તમારૂં નથી કે તમે શરીરના નથી.શરીર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે અને અંતે તેમાં જ સમાઇ જવાનું છે પરંતુ તમે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત સ્થિર આત્મા જન્મ-મરણની ક્રિયાથી રહિત અલગ છો.
તમે પોતે પોતાને ભગવાનને અર્પણ કરી પ્રભુની શરણાગતિ સ્વીકારી લો કારણ કે એ જ ઉત્તમ સહારો છે અને આ સહારા(પરમાત્મા)ને જે જાણે છે તે ભય ચિંતા શોક તથા જન્મ-મરણથી મુક્ત થઇ જાય છે.તૂં જે કંઇ કરે છે તે ભગવાનને અર્પણ કરી દે,આમ કરવાથી તૂં હંમેશાંના માટે જીવનમુક્તિનો આનંદનો અનુભવ કરી શકીશ.
શ્રીમદ્? ભગવદ્? ગીતા સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ છે જેની છેલ્લા ૫૧૨૫ વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે.ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્? ભગવદ્? ગીતાનું નામ ન સાંભળ્યું હોય.ગીતા જ્ઞાન એ ગાગરમાં સાગર છે.જ્ઞાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે.માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે.
શ્રીમદ્? ભગવદ્ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે.જેમાં છઠ્ઠું પર્વ ભીષ્મપર્વ છે.ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ શ્રીમદ ભગવદગીતા.આખી ગીતામાં હિંદુ શબ્દ એક પણ વખત આવતો નથી તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.શ્રીમદ્? ભગવદ્? ગીતા એ એવો એક ધર્મગ્રંથ છે જેનું ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.
ગીતાના દરેક અધ્યાયના અંતે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે,જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર છે.ગીતા શ્રદ્ધા-ભક્તિ-ધર્મ અને સત્યનો એવો આધાર સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લેવામાં આવે છે આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી.જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે એટલે મહાત્મા ગાંધીજીએ ગીતા વિશે જે પુસ્તક લખ્યું તેનું નામ ‘‘અનાસક્તિ યોગ‘‘ આપ્યું છે.ગીતાને પાંચમો વેદ કહેવાય છે.ગીતાના પ્રથમ છ અધ્યાયમાં કર્મ,બીજા છ અધ્યાયમાં ભક્તિ અને છેલ્લા છ અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા છે.કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદગીતામાં ના હોય.
આજે શ્રીમદ્? ભગવદ્? ગીતાને કુલ ૫૧૨૫ વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્ર્લોક છે.આ શ્ર્લોકથી જ ભગવદગીતાની શરૂઆત થાય છે.ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્ર્લોકમાં ઈતિથી થાય છે જે સમાપ્તિસૂચક શબ્દ છે.માગશર સુદ અગિયારસના રોજ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દ્રષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર.ગીતાનો સાર પણ આ જ શ્ર્લોકમાં છે એટલે કે વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.
ઘણા લોકો એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્ર્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે? આ શંકાનું પણ નિવારણ છે.ગીતાનો એક શ્ર્લોક શાંતિથી,નિરાંતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર દસ સેકન્ડ જ થાય છે.આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય.૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ થાય છે. આ તો પદ્યની વાત થાય છે.જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણઅર્જુનનો સંવાદ ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.ગીતા એ માનવજીવનનું રહસ્ય છે.રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે.ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે.
જ્યારે આપણે મુશ્કેલીમાં હોઇએ કોઈ રસ્તો સૂઝતો ના હોય,ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ.ગીતા હાથમાં લો.મહાત્મા ગાંધીજી ખુદ કહેતા મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું.
વિનોદ માછી નિરંકારી