સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો ૨૯મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિમંદિર, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો.
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ કાર્યક્રમનાં સુંદર આયોજન બદલ આયોજક ટીમને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “દુનિયાના કોઈપણ છેડે કેમ ન જઈએ, જે શિક્ષક પાસે ભણ્યા હોય, તે શિક્ષક દરેક વ્યક્તિ માટે પૂજનીય હોય છે. વર્તમાન સમય કમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે. આજના આ ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી ચલાવવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડશે. સરકારશ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બની છે ત્યારે હવે શિક્ષકોએ પણ નવી નવી બાબતો, નવી નવી શિક્ષણ પદ્ધતિ, નવીન ટેકનિકસ શીખતાં રહેવી આવશ્યક છે. જેથી બાળકોને ઉચ્ચ કોટિનું શિક્ષણ આપી ભાવિ ઉજ્જવળ બનાવી શકાય.”
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાએ સર્વેને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તજજ્ઞ વકતા તરીકે એમ.પી. શાહ કોમર્સ કોલેજ, વઢવાણના પ્રિન્સીપાલશ્રી ડો. દિલીપ આર. વજાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ તકે ધોરણ ૧૦ અને ૧૨ નાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રતિભાશાળી શિક્ષકોને તેઓએ મેળવેલી જુદી જુદી સિદ્ધિ બદલ શિલ્ડ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિવૃત થતા શિક્ષકોને મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ દુધરેજ વડવાળા મંદિર દ્વારા સંચાલિત શ્રી સરવસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ તકે જગદીશભાઈ મકવાણાનું સાફો બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું બુકે અને ગિફ્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ, એમ. ઓઝા, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના હોદેદારશ્રીઓ,માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સદસ્યશ્રીઓ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી યોગેન્દ્રસિહ ઝાલા સહીતના હોદેદારશ્રીઓ, કન્વીનરશ્રીઓ, શાળા સંચાલક મંડળના હોદેદારશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જુદીજુદી શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકઓ ઉપસ્થિત રહ્યા હતા.