RAJKOT તા. 14
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરનાં પગલે છેલ્લા બે દિવસથી રાજયમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઇકાલે પણ રાજકોટ સહિત વિવિધ સ્થળોએ 0.5થી 2.5 ઇંચ જેટલો વરસાદ ગાજવીજ સાથે ખાબકી ગયો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં 4 ઇંચ, જામજોધપુરમાં 2.5 ઇંચ, ખંભાળીયા પંથકમાં 1.5 ઇંચ, રાજકોટ શહેર અને કોટડાસાંગાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર જિલ્લામાં શનિવારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને જામજોધપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને રાત્રિના આઠ વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે ફરીથી નદીનાળા માં પુર આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
શનિવારે સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ જામનગર શહેર – ધ્રોળ અને કાલાવડમાં રાત્રિના નવ વાગ્યા પછી છૂટાછવાયા વરસાદની ઝાપટા શરૂ થઈ ગયા હતા, તેના કારણે નવરાત્રીના આયોજનમાં ભંગાણ પડ્યું હતું. અને સ્થળોએ નવરાત્રીના અંતિમ દિવસ કે જેમાં મેઘરાજા ની રાસલીલા જોવા મળી હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અર્વાચીન રાસ મહોત્સવ ચાલી રહ્યા છે, તે તમામ રાસ મહોત્સવ ના કાર્યક્રમ બંધ રાખવા પડ્યા હતા. નાની શેરી ગલી ના ગરબા મહોત્સવમાં પણ વરસાદ વેરી બન્યો હતો, અને નવરાત્રીના કાર્યક્રમ વેલા આટોપી લેવાનો વારો આવ્યો હતો.
જોકે રવિવારે સવારથી ઉઘાડ નીકળી ગયો હોવાથી સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ મળ્યા નથી. ખંભાળિયા પંથક સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં શનિવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે. ત્યારે શનિવારે રાત્રિના વરસાદથી અનેક ગરબાના આયોજનોમાં વિક્ષેપ પડ્યો હતો. જ્યારે રવિવારે વીજળીના ગગડાટ સાથે ખંભાળિયામાં દોઢ તથા કલ્યાણપુરમાં સવા તથા ભાણવડમાં પોણો ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.
ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા ગરમીના વાતાવરણ વચ્ચે શનિવારે રાત્રે ખંભાળિયામાં વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. શનિવારે દશેરાના જુદા જુદા ગરબા મંડળોના આયોજન તેમજ સંસ્થાના ગેટ ટુ ગેધરમાં શનિવારના વરસાદથી ઉજવણીનો વિક્ષેપ થયો હતો. જેમાં ખેલૈયાઓના ખેલ બગડ્યા હતા.
આ વચ્ચે ગઈકાલે રવિવારે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના ભારે ઝાપટા શરૂ થયા હતા અને રાત્રી સુધીમાં વધુ દોઢ ઈંચ (37 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. આ ઉપરાંત શનિવારે રાત્રે ભાણવડ તાલુકામાં પણ ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા.
આસો માસમાં છવાયેલા અષાઢી માહોલમાં રવિવારે કલ્યાણપુર તાલુકામાં સવા ઈંચ (31 મી.મી.) તેમજ ભાણવડમાં પણ ગત રાત્રિના પોણો ઈંચ (16 મી.મી.) પાણી પડી જવા પામ્યું છે.
આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 92 ઈંચ, દ્વારકા તાલુકામાં 88 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 80 ઈંચ અને ભાણવડ તાલુકામાં 64 ઈંચ વરસાદ વરસી ગયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 264 ટકા થવા પામ્યો છે. ગઈકાલે ખંભાળિયા શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું.
ખંભાળિયા પોરબંદર માર્ગ પરના વિંજલપર, ભાડથર, ભાતેલ, વિગેરે ગામોમાં એક ઈંચ જેટલો જ્યારે લાલપરડા, બજાણા, કંડોરણા, બારાડી બેરાજા વિગેરે ગામોમાં બે થી અઢી ઈંચ વરસાદ વરસી જતા ખેતરોમાં મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગાજવીજ સાથેના આ વરસાદના કારણે વડત્રા ગામે એક ખેડૂતની ભેંસ પર વીજળી પડતા આ ભેંસ મૃત્યુ પામી હતી. અનેક સ્થળોએ વીજ ટ્રાન્સફોર્મર પર આકાશી વીજળી પડતા આ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા હતા.
છેલ્લા બે દિવસના આ વરસાદથી અનેક સ્થળોએ મગફળી સહિતના પાકોને નુકસાની થયા પામી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને સવારે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.
જયારે કોટડાસાંગાણી પંથક માં એકાએક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા બપોરના 4 વાગ્યેના સમયમાં વરસાદી માહોલ થયેલ એક કલાક માં એક ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો અને છેલ્લા 24 કલાક મા બે ઈંચ જેટલો વરસાદ પડેલ છે કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોને મુશ્કેલી મુકાયા મગફળી અને કપાસ સોયાબીન અને મરચાં ડુંગળી જેવા વાવેતર મા ભારે નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે.
જે ખેડૂતોને પોતાની વાડીમાં મગફળી કાઢી ને વાડીમાં મગફળીના પાથરા કરીને રાખેલ હોય છે અને મગફળી હલરમા કાઢવાની હોય છે તે મગફળી ખેતરોમાં તરકામા સુકાંવામા રાખેલ હોય છે તે મગફળી ઉપર કમોસમી વરસાદ પડવાથી મગફળીના પાથરા વરસાદથી પલરીગયેલ જે ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીનો સામનો વહેઠવો પડેલ અને કપાસ મગફળી સોયાબીન અને પાકોમાં કમોસમી વરસાદ પડવાથી પાકોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે.
તથા વડિયામાં સમી સાંજે ધોધમાર વરસાદ પડતા સુરવો ડેમના ત્રણ દરવાજા એક ફુટ ખોલાયા હતા. વડિયામાં સમી સાંજે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મુખ્ય બજારો પાણી પાણી નબની નદીઓના રૂપ ધારણ કર્યા હતા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વિજળી ગુલ થઇ હતી.
ગત રવિવારના બપોર બાદ સોરઠમાં વાદળો ચડી આવ્યા હતા ત્યારે બફારા વચ્ચે સાંજના 7.15 કલાકે ભારે કડાકા ભડાકા સાથે વિજળીના ચમકારા વચ્ચે મેઘસવારી ઉતરી આવી હતી. હજુ આગામી 20 ઓકટોબર સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
બગસરામાં બે દિવસ થયા વરસાદે માહોલ જોવા મળ્યો છે ત્યારે દશેરાના દિવસે મીઠાઈ નો સ્વાદ ફર્યો દશેરાના દિવસે સાંજના સમયે જ્યાં જલેબી ને ગાંઠિયા ગરમાગરમ બનતા હોય ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે બગસરામાં રોડ ઉપર વરસાદી ઝાપટા પડતા પાણી કાઢી નાખ્યા હતા.
ત્યારે ઉભા પાકને પણ ભારે નુકસાન જોવા મળ્યું હતું જેમાં ખેડૂતો કપાસ ઉતારવા નું કામ ચાલુ હોય ત્યારે અચાનક વરસાદી માહોલ છવાયો હતો ત્યારે ખેડૂતોના શ્વાસ અધર ચડી ગયા હતા.