ઈશ્વર પોતે ઈસુના સ્વરૂપે જગતમાં અવતર્યા. એ વિષે વિશ્વના કોઈ શ્રદ્ધાવાન ખ્રિસ્તી જરાય શંકા ધરાવતા નથી. પૃથ્વી પર તેમની પધરામણીનો દિવસ એટલે નાતાલ. એશિયા ખંડના બેથલેહેમમાં તેમનો જન્મ. કુંવારી મરિયમ તેમનાં જનેતા. જોસેફ તેમના પાલક પિતા.
જગતમાં આવ્યા હોવા છતાં તેઓ જગતથી પરલૌકિક જીવન જીવ્યા. તેમનામાં પવિત્ર આત્માનો સુપર પાવર હતો. તેમણે અપંગોને અંગો આપ્યાં. બીમારોને સાજા કર્યાં. પ્રકૃતિ પર તેમનું પ્રભુત્વ હોવાના ચમત્કારો કર્યા. તેમના પ્રવચનનો પ્રચંડ ધ્વનિ ભલભલાના હૈયાંને હલાવી નાખતો હતો. એ ઉપદેશ ગ્રહણ કરીને અનેક શ્રોતાજનોએ તેમનું શરણ સ્વીકાર્યું.
વર્તનમાં તેઓ ઋષિમુનિ સમા સૌમ્ય હતા. ગૃહસ્થી નહીં, પણ સંસારત્યાગી બ્રહ્મચારી હતા. માનવ સ્વરૂપે હોવાથી માનવી રસમ પ્રમાણે તેઓ ઈશ્વરની ઉપાસના અને સતત સંગતમાં રહેતા. આવા ઐશ્વરી વ્યક્તિવિશેષ ઈસુએ ઉચ્ચારેલું ગિરિપ્રવચન વિશ્વમાં વિખ્યાત છે. તેમની સેવાઓનો વિરોધ કરીને પાખંડી ધર્મગુરૂઓની ઉશ્કેરણીથી રોમન સત્તાએ તેમને વધસ્તંભ પરના મૃત્યુની સજા કરી. તેઓ મૃત્યુ પામ્યા, પણ તેમની કબર પર જાપ્તો હોવા છતાં તેઓ ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા. ચાલીસ દિવસ પછી તેમનું આકાશ (સ્વર્ગ) ગમન થયુ. ત્યારે ફિરસ્તાઓએ ખાસ જણાવ્યુ હતું, ‘જે ઈસુને તમે સ્વર્ગે જતાં જુઓ છો તે પાછા આવશે.’
ઈસુએ પોતે પણ માથ્થીકૃત શુભસંદેશમાં પોતાના પુન: આગમનનો ઉલ્લેખ કરેલો છે. તેના સંકેતો જણાવેલા છે કે ‘પ્રજા પ્રજાની વિરૂદ્ધ થશે. ઠેરઠેર દુકાળો અને રોગચાળા પ્રસરશે. ધરતીકંપો થશે. જૂઠા ઉપદેશકો ઊભા થશે. અંધશ્રદ્ધા ફેલાવશે. મારા વિરોધીઓનો જોરજુલમ વધશે. જગતમાં પીડા, સતાવણી, ભયાનક યુદ્ધો અને અંધાધૂધી તીવ્ર વેગે પ્રસરશે.’
અત્યારે આ સંકેતો પ્રમાણેના બનાવો બની રહ્યા છે. ઈસુએ વિશેષમાં સ્પષ્ટ દર્શાવ્યું છે: ‘તેમનો શુભસંદેશ સમગ્ર જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) અત્યારે મધ્યપૂર્વમાં ઈઝરાઅલ આરબ દેશો વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે એ પણ એક મોટી નિશાની છે.
આ બધું જોતાં એવી આશા જાગે છે કે આ કહેવાતો કલિયુગ વેળાસર પૂરો થવાના એંધાણ છે. શ્રદ્ધાળુઓ કહે છે કે ઈસુનું દ્વિતીય આગમન થશે. ત્યારે વિદ્યમાન વિશ્વનું વિસર્જન થશે. નવી પૃથ્વી અને નવા યરુશાલેમનું સર્જન થશે.
ઈસુના અનુયાયીઓ તેમને ઈશ્વરસ્વરૂપ માને છે. પૃથ્વી તેમની પ્રતીક્ષા કરતી હતી. પોતાના ઉદ્ધારકને ઝંખતી હતી. તેના પ્રાણ પછાડા મારતા હતા. એવે સમયે ઈશ્વરે પૃથ્વી પરના માનવો પર પારાવાર પ્રેમ પ્રગટ કર્યો. એ પ્રેમનું મૂર્તિમંત પ્રતીક એ જ ઈસુ.
દુન્યવી પરંપરા મુજબ તેઓ ઈઝરાયલના શ્રેષ્ઠ સમ્રાટ ડેવિડના તથા તેમના જ્ઞાાની સુપુત્ર રાજવી ડેવિડના વંશ જ હતા. બેથલેહેમ તેમના પુર્વજ ડેવિડનું નગર હતું. તે છતાં તેમના જન્મ માટે ગભાણ સિવાય અન્ય કોઈ અનુકુળ મળ્યું ન હતું. એ હતું કારૂણ્ય ! ઈસુ રંક અને સેવક થવા માટે આલમમાં આવ્યા હતા, રાજા કે સત્તાધીશ થવા માટે નહીં. ઈસુ જન્મ્યા સામાન્ય જન તરીકે. તેમણે ક્ષમાશીલ, નિષ્કલંક માણસ તરીકે આયુષ્ય વિતાવ્યું. મૃત્યુ પામ્યા માનવોની મક્તિ માટે. તેમણે માત્ર ત્રણ જ વરસો સુધી જાહેર સેવામાં જીવનનો મૂલ્યવાન સમય વિતાવ્યો.
ગર્વવિહીન અને સાદા એવા બાર શિષ્યગણને પસંદ કર્યા. તેમને સાથે રાખીને ઈસુએ માત્ર ત્રણ જ વર્ષ સુધી સેવાનું મહાઅભિયાન ચલાવ્યું. એટલામાં તેમણે પોકારેલો શુભસંદેશ સૃષ્ટિમાં દૂરસુદૂર સુધી પ્રસરી ગયો. જનજીવનમાં સત્ય અને સેવાની જ્યોતિ જલાવી. જગતને ઉથલપાથલ કર્યું. ઈસુની વાણી, વિચાર અને વર્તનમાં એકરૂપતા હતી. જેવું વિચારતા હતા તેવું જ ઉચ્ચારતા અને આચરતા હતા. તેઓ અંધશ્રદ્ધા, શયતાની ષડયંત્રો અને પ્રલોભનોને મિટાવવા માટે હિંમતભેર ઝઝૂમ્યા. પરિણામે દુરાચારીઓ અને દંભી ધર્મસત્તાધીશો તેમના દ્વેષી અને વિરોધી થયા. પણ તેઓની સામે ઈસુ નતમસ્તકે અડીખમ રહ્યા.
તેમના જીવન અને સેવાને અનુલક્ષીને વર્ણનાત્મક રીતે ચાર ધાર્મિક ‘શુભસંદેશ’ ગ્રંથો લખાયેલા છે. તેમના અનુચરો માથ્થી, માર્ક, લૂક અને જોને આ ઈસુએ પોતાના નમૂનેદાર પવિત્ર જીવનના સેવામય આચરણથી પોતાને ‘પાંચમા શુભસંદેશ’ તરીકે પ્રતિપાદિત કરેલા છે.