Maharashtra,તા.24
દેશમાં છેલ્લા કેટલાક વખતથી ‘બુલડોઝર’ ઘણા પ્રચલિત બની ગયા છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં માફિયાઓની ગુનાખોરી રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપરાધીઓના મકાનો, મિલ્કતો પર બુલડોઝર ફેરવીને એકશન લેવાનું શરૂ કર્યુ ત્યારથી બુલડોઝર કાર્યવાહી વધુ પ્રચલિત બનવા લાગી હતી.
દેશમાં વિવિધ ચૂંટણીઓ હોય કે અન્ય કોઇ સમારોહ બુલડોઝર એકશનનો શબ્દપ્રયોગ સતત વધતો રહ્યો હતો પરંતુ હવે મહારાષ્ટ્રમાં નવા કારણથી બુલડોઝર પ્રચલિત બન્યું છે. સામાન્ય રીતે બુલડોઝર એટલે અપરાધી સામે એકશન ગણવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં બુલડોઝર મારફત પુષ્પવર્ષા કરીને રાજય સરકારના જ મંત્રીએ નવો દાખલો બેસાડયો હતો.
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં પ્રવાસન મંત્રી બનેલા શંભુરાજ દેસાઇ પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત પોતાના સતારા જિલ્લાના વતનમાં ગયા અને તેમનો કારનો કાફલો કરાડ પહોંચ્યો ત્યારે તેમના સમર્થકોએ બુલડોઝરમાંથી ફુલોનો વરસાદ વરસાવીને જોરદાર સ્વાગત કર્યુ હતું.