Junagadh,તા.૨૬
જુનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરનાં ગાદીનો વિવાદ સતત વધી રહ્યો છે. ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુનાં આક્ષેપો બાદ ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. મહંત હરિગીરી બાપુએ ભવનાથ મંદિરનાં લેટર પેડ મારફતે તમામ આરોપોનું ખંડન કર્યું છે અને કહ્યું કે, કોઈ રકમની લેણદેણ થઈ નથી. બીજી તરફ બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના સેવકો અને પરિજનો દ્વારા મહંત હરિગીરી સામે છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.
જુનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી ગાદી માટેનો વિવાદ સતત વકરી રહ્યો છે. ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુએ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભવનાથ મંદિરનાં મહંત બનવા માટે હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા. જો કે, હવે આ મામલે મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ભવનાથ મંદિરનાં લેટર પેડ મારફતે જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી પ્રયાગરાજમાં હતા.
આ સાથે તેમણે મહેશગીરી બાપુનાં તમામ આરોપોને નકાર્યા હતા અને કહ્યું કે, કોઇ રકમની લેણદેણ થઈ નથી.બીજી તરફ બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના સેવકો અને પરિજનોએ મહંત હરિગીરી સામે છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ અરજીમાં ભીડભંજન સ્થળ પર ગેરકાયદેસર માલિકીનો ઉલ્લેખ કરાયો છે. આ સિવાય, ગેરકાયદે ઘૂસી ચાદરવિધી કરી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે, જેની ચાદરવિધી થઇ તે પ્રેમગીરી સામે પણ પોલીસમાં અરજી કરાઈ છે. પરિવારજનોએ દાવો કરતા કહ્યું કે, નવાબના સમયથી અમને આપેલી જગ્યા છે.
પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હરિગીરી અને પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવાની માગ કરી હતી. જો કે, હવે સતત વધી રહેલા આ વિવાદમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી થાય તેના પર સૌની નજર છે