ઓવૈસીએ કહ્યું કે, એક તરફ વડાપ્રધાન દરગાહ માટે ચાદર મોકલી રહ્યા છે, તો બીજી તરફ ખોદકામ કરાવી રહ્યા છે
New Delhi, તા.૪
ઉર્સના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ માટે એક ચાદર મોકલી, જેને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ લઈને પહોંચ્યા હતા. આ મામલે રાજનીતિ પણ ચાલી રહી છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (છૈંસ્ૈંસ્)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ’એક તરફ વડાપ્રધાન મોદી દરગાહ માટે ચાદર મોકલી રહ્યા છે, તો બીજી તરફ ખોદકામ કરાવી રહ્યા છે.’
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે તેમણે શાયરી બોલતા કહ્યું કે, ’ઇસને હમારે ઝખ્મ કા કુછ યૂં કિયા ઇલાજ, મરહમ ભી ગર લગાયા તો કાંટે કી નોંખ સે. છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની સરકાર છે, પ્લેસેજ ઑફ વર્શિપ એક્ટ પર ભાજપનું કોઈ સ્ટેન્ડ નથી. તમે ચાદર એટલા માટે ચઢાવી રહ્યા છો કારણ કે તમે માનો છો કે ત્યાં દરગાહ છે, પરંતુ તમે ઇચ્છો છો કે દરગાહ, દરગાહ નથી. તેને રોકવાની જરૂર છે.’ ઓવૈસીએ કહ્યું કે, ’ભાજપ, સંઘ પરિવાર અને સમગ્ર દેશમાં તેમના સંગઠન કોર્ટ જઈ રહ્યા છે કે જે-તે જગ્યાએ ખોદકામ થવું જોઈએ. તેઓ કહી રહ્યા છે કે આ મસ્જિદ નથી, તે દરગાહ નથી. જો વડાપ્રધાન ઇચ્છે તો આ બધુ બંધ થઈ જશે. છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની સરકાર છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. ૭થી વધુ મામલા તો મસ્જિદો-દરગાહોના ઉત્તરપ્રદેશમાં છે, જ્યાં ભાજપ સત્તામાં છે અને ત્યાંથી વડાપ્રધાન સાંસદ છે. ચાદર મોકલવાથી કંઈ નથી થવાનું. તેનો કોઈ સંદેશ પણ જવો જોઈએ.’
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર લઈને શનિવારે અજમેર પહોંચ્યા હતા. અજમેરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કિરેન રિજિજુએ અજમેર શરીફની દરગાહ પર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા કિરેન રિજિજુએ કહ્યું કે, ’અજમેરમાં ઉર્સ દરમિયાન ગરીબ નવાઝની દરગાહની મુલાકાત લેવી એ આપણા દેશની જૂની પરંપરા છે. અજમેર શરીફમાં મંદિરના દાવાનું સરકાર સમર્થન નથી કરતી.’
કિરેન રિજિજુએ કહ્યું કે, ’આ વખતે ઉર્સના અવસર પર મને ગરીબ નવાઝને ચાદર ચઢાવવાની તક મળી છે. વડાપ્રધાન મોદીજીનો સંદેશ ભાઈચારાનો છે અને સમગ્ર દેશે સાથે આવવું જોઈએ અને સાથે રહેવું જોઈએ. હું અજમેર દરગાહ જઈને અને દેશને એકજૂટ રહેવાનો સંદેશ આપી રહ્યો છું.’