Bhavnagar,તા.04
આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુ જામી રહી છે ત્યારે શરીરની તંદુરસ્તી અને સ્કૂર્તિ માટે ગોહિલવાડમાં આવેલ ગરમ ખાદ્ય પદાર્થો અને પીણાની માર્કેટમાં ગરમાવો આવી રહ્યો છે. અન્ય સ્વાસ્થ્યવર્ધક પાકની જેમ નીરાનું પણ તંદુરસ્તીના ચાહકોમાં સવિશેષ મહત્વ જોવા મળી રહ્યુ છે અને તેથી જ શિયાળા દરમિયાન ભાવનગર શહેરમાં અંદાજે ૧૦,૦૦૦ લીટર નીરો લોકો ગટગટાવી જાય છે.
સ્વાસ્થ્યવર્ધક શિયાળામાં ભાવનગર શહેરના ઘોઘાગેટ, મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, આતાભાઈ ચોક, કાળીયાબીડ, પાણીની ટાંકી, સંત કંવરરામ ચોક,નીલમબાગ તેમજ ગઢેચી વડલા સહિતના અનેક સ્થળોએ દરરોજ સવારે ૫ થી ૭,૩૦ અને સાંજે ૬ થી રાત્રીના ૧૦ ના અરસામાં નીરોના વેચાણ કેન્દ્રો ગ્રાહકોની અવર-જવરથી અવિરતપણે ધમધમી રહ્યા છે. નીરામાં અનેક પ્રકારના પોષક તત્વો હોવાથી તે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. વહેલી સવારે નીરો પીવાથી આખો દિવસ શરીર સ્કૂર્તિમય રહે છે. આ ઉપરાંત એસીડીટી તેમજ કફના રોગ માટે પણ તે ફાયદાકારક હોય લોકો ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનો પરિવારજનો તેમજ સમવયસ્ક મિત્રોના ગૃપ સાથે નીરો પીવા માટે ઉમટી પડતા હોય છે. જુનાગઢ તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાત બાજુથી શ્રમિકો દ્વારા નીરાનું કલેકશન કરીને ખાનગી વાહનોમાં મોટા મોટા કેરબાઓ ભરીને ભાવનગરમાં લાવવામાં આવે છે. જયા અલગ-અલગ સ્થળોએ આવેલા કોલ્ડ સ્ટોરેજમાં આ નીરાના જથ્થાનો સંગ્રહ કરાય છે. જે માંગ મુજબ સ્થાનિક ઉપરોકત વિવિધ વેચાણ કેન્દ્રોમાં ડિમાન્ડ મુજબ મોકલવામાં આવે છે. આજથી ૪૫ વર્ષ અગાઉથી શહેરમાં નીરાનું વેચાણ થઈ રહેલ છે. આજથી વર્ષો અગાઉ રૂા અઢીથી ત્રણના ભાવે એક ગ્લાસ નીરો વેચાતો હતો. જે હવે ટ્રાન્સપોર્ટેશન લેબર વર્ક,જગ્યાના ભાડા વધતા અને મજુરી દર, નીરાની સાચવણીના કોલ્ડ સ્ટોરેજના ખર્ચ ઉપરાંત શ્રમિકોના વેતનના દર વધતા જતા હોય હવે રૂા ૧૦ થી ૧૫ નો એક ગ્લાસ નીરો વેચાઈ રહ્યો છે. અત્રે એ નોંધનીય છે કે, ભાવનગર શહેરના ઉપરોકત વિવિધ વેચાણકેન્દ્રોમાં મળી પ્રતિદિન ૩૭૫ થી વધુ લીટર તેમજ સમગ્ર શિયાળાની સીઝન દરમિયાન અંદાજે ૧૦,૦૦૦ લીટર નીરાનું આસાનીથી વેચાણ થઈ જાય છે. હાલ ભાવનગર શહેરમાં નીરાની બહારગામથી ડીલીવરી,સ્ટોરેજ, વેચાણ પ્રક્રિયાની સાથે કુલ મળીને ૨૫ થી વધુ શ્રમિકો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે.
જરૂરી માવજતના અભાવે તાડના ઝાડ પર ખતરો
દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષોમાં કરાયેલા એક સર્વે મુજબ તાડ અને ખજુરના વૃક્ષના ઉછેરમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે.જયારે બીજી બાજુ ખજુરના વૃક્ષમાં પણ ઘટાડો જણાઈ રહ્યો છે. આડેધડ નીરો કાઢવામાં આવતો હોવાના કારણે વૃક્ષો મરણ પથારીએ પડયા છે. સ્થાનિક સત્તાધીશો અને વહિવટીતંત્રએ જો આ અગાઉથીઆ ગંભીર બાબતે જરૂરી કાળજી અને સંભાળ લઈ રહ્યા હોત તો આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત તેમ સૂત્રોએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, સત્તાધીશોની ઉદાસીનતાના કારણે સર્વોત્તમ પીણુ ગણાતુ નીરો મેળવવામાં ભવિષ્યમાં ભારે મુશ્કેલીઓ વેઠવાનો વખત આવે તેમ છે.