વર્તમાન સમયમાં કોઈને શાંતિ નથી.દરેક વ્યક્તિ કોઈકને કોઈક મુશ્કેલીમાં જીવે છે.શ્રીમદ્ ભાગવત કથા સાંભળવાથી માણસના મનને શાંતિ મળે છે.જીવન સારી રીતે કેમ જીવવું તે સમજાવે છે એટલું જ નહીં મૃત્યુની તૈયારી કેમ કરવી તેની પણ સમજ આપે છે.માનવ જન્મ અકસ્માત છે પરંતુ મૃત્યુ નિશ્ચિત છે તો મૃત્યુથી શા માટે ગભરાવું? લોક અને પરલોકને સુધારવાનું જ્ઞાન આપણને ભાગવત કથાથી પ્રાપ્ત થાય છે.આપણી મૃત્યુ તરફની યાત્રા જન્મથી જ શરૂ થાય છે.જન્મ અને મૃત્યુ વચ્ચેનો ગાળો આપણે કેવી રીતે જીવવો જોઈએ કે જેથી આપણે મૃત્યુનું સ્વાગત નિર્ભયતાથી કરી શકીએ આ વાત આપણે સમજી શકીએ તો જીવનને વધારે સારૂં બનાવી શકીએ.માણસ જન્મ અને મોત વચ્ચેના ગાળામાં કેટલા બધા ઉધમાત મચાવે છે? એ ભૂલી જાય છે કે જીવનનો અંત મૃત્યુ છે તો શા માટે ઈશ્વરે આપેલા વરદાન સ્વરૂપ માનવ અવતાર એળે જવા દેવો? આટલું સમજતાં આખો મનુષ્ય અવતાર પૂર્ણ થઈ જાય છે અને મોત આપણા દરવાજે ટકોરા મારે છે ત્યારે થાય છે કે ઘણું બધું બાકી રહી ગયું છે.આ વસવસો ના રહે,આપણે સમયસર ચેતી જઈએ તે માટે ભાગવતકથા સાંભળવાનું મહત્વનું છે.
માનવ બાળપણ રમતમાં,યુવાની ઉંઘમાં અને વૃદ્ધાવસ્થા જોઇને રડે છે.વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે છતાં તેમાં કોઈ ફેરફાર થતો નથી.મનુષ્ય જન્મ અનમોલ છે જેને આપણે વેડફી નાખી છીએ.આપણા ઋષિ-મુનિઓએ વેદો-પુરાણોની રચના કરી છે તેનો આપણા જીવનમાં કોઈકને કોઈક હેતુ રહેલો છે.રામાયણ આપણને જીવતા શીખવે છે જયારે ભાગવત આપણને મરતાં શીખવાડે છે.આ પૃથ્વી પર અનેક જીવો છે જે દરેક પોતાનો ભાગ અને ભાવ ભજવે છે.આપણે ક્યારેય ગધેડાને કહેવું પડતું નથી કે તૂં ગધેડો થા પરંતુ માણસને કહેવું પડે છે કે માણસ થા..માણસ જ એવો છે જે જન્મે છે માણસ તરીકે પરંતુ તેના મૃત્યુની ગતિ કેવી થશે તે કહી શકાતું નથી.અંતકાળે જેવી મતિ તેવી ગતિ થાય છે.જો પશુ જેવું જીવન જીવ્યા હોઈએ તો મૃત્યુ પછી માનવ અવતાર મળતો નથી.કલિયુગમાં માણસ ભોગવાદી બની ગયો છે,દરેક વસ્તુનું મૂલ્ય પૈસામાં આંકતો થયો છે ત્યારે ભાગવત શ્રવણનો મહિમા વધી જાય છે.
રત્નનો ઉપયોગ સમજી વિચારીને કરાય એને ધૂળમાં વેડફી ન નખાય..આ માનવ જન્મ ચોર્યાસી લક્ષના ફેરા પછી મળે તો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો.માણસ નવો જન્મ લેતાં પહેલાં ઈશ્વરને અનેક કાલાવાલા કરે છે હે પ્રભુ ! ગયા જન્મમાં કરેલી ભૂલ હવે નહિ કરૂં મને એક તક આપો.માતાના ગર્ભમાં તે ઈશ્વરને પ્રાર્થના કરે છે હે પ્રભુ ! હવે હું આદર્શ જીવન જીવીશ,હું સુધરી જઈશ.પરમાત્મા આ જીવાત્મા પર કૃપા કરીને તેને તક આપવા તેનો જન્મ થતાં વેંત તેની પૂર્વજન્મની સ્મૃતિનો લોપ કરી દે છે.આનું કારણ એ છે કે આગળના જન્મનો ભાર તેણે વેંઠવો ન પડે અને નવેસરથી જિંદગીનો આંકડો માંડી શકે પણ માણસ ફરી પાછો માયા,કામના,તૃષ્ણા અને મોહના ચક્કરમાં ફસાઇને ફરી એક વખત પોતાના મનુષ્ય અવતારને આડે પાટે ચડાવી દે છે.આપણે આ અમૂલ્ય માનવ અવતારનો યોગ્ય ઉપયોગ શું કરવો તે જ્ઞાન આપણને ભાગવત કથા આપે છે.
સંસારના લોકો ભક્તિયોગને સમજી શકે અને કૃષ્ણપ્રેમમાં તેમના જીવનનો મોહ-શોક અને ભય નષ્ટ થઈ જાય તે હેતુથી વેદવ્યાસજીએ ભાગવતનું નિર્માણ કર્યું.ભાગવત સ્વયં ભગવાનનું સ્વરૂપ અને ભક્તિ પ્રધાન ગ્રંથ છે જે માનવજીવનમાં ચેતના પ્રગટાવે છે,માનવને ઈશ્વરની નવધા ભક્તિ કરવા સૂચવે છે.દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઈએ.માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરતાં જ સાક્ષાત ઈશ્વર મન:ચક્ષુ સમક્ષ દેખાય.ભાગવત કથા કાળના મુખમાંથી છોડાવી મુક્તિ અપાવે છે,મનની શુદ્ધિ અને ભયનો નાશ કરે છે,આપણું જીવન કરૂણામય બને છે,જીવમાત્ર કરૂણા અને પ્રેમને પાત્ર છે,આદર્શ જીવન જીવવાની કળા શિખવે છે,અશુભ વાસનાનો નાશ કરે છે.ભાગવત જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનો વિશાળ સમુદ્ર છે.તેને વાંચવાથી વિશુદ્ધ જ્ઞાન થાય છે કે દરેક પ્રાણીમાં એક પરમાત્મા રહેલા છે તેથી તે અધર્મનું આચરણ કરતો નથી અને સત્યધર્મમાં સ્થિત થાય છે,સ્વભાવથી જ દયા-ધર્મનું પાલન કરવા લાગે છે.શુકદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા હતાં ત્યારે દેવતાઓ તેમની પાસે અમૃત-કળશ આપીને કહે છે કે તમે આ આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો,આ રીતે અદલા-બદલી કરવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે ભાગવત કથામૃતનું પાન કરીશું.ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણી? ક્યાં કથા અને ક્યાં અમૃત? આમ વિચારી શુકદેવજીએ દેવતાઓનો ઉપહાસ કર્યો.તેમને ભક્તિશૂન્ય જાણીને કથામૃત ના આપ્યું.આ રીતે ભાગવત કથા દેવોને પણ દુર્લભ છે.શુકદેવજીએ ભાગવત કથામૃત રાજા પરીક્ષિતને સંભળાવ્યું અને સાત દિવસ કથા સાંભળતાં તેને મોક્ષ પ્રાપ્ત થયો એવી અદભૂત અને પાવનકારી આ કથા છે.
જગતમાં જન્મીને જગતના પરીવર્તનશીલ સ્થૂળપદાર્થોમાંથી મનને પાછું વાળીને પ્રભુના ચરણોમાં પરોવી મન-વચન-કાયાથી પ્રભુના બનીને બ્રહ્મસાક્ષાત્કાર કર્યો છે,બીજાઓની પ્રગતિ જોઇને દ્વેષ કરતા નથી તેવા પ્રાતઃસ્મરણીય પરમભક્તોનું જીવન વૃતાંત ભાગવતમાં છે.જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ભગવાન પહોંચી જાય છે.ઘણી જગ્યાએ મૃતાત્માઓની સદગતિ માટે ભાગવતકથા કરવામાં આવે છે.જે મનુષ્યના ઘરમાં ભાગવતશાસ્ત્ર હોય છે તેનો યમરાજાના પાશમાંથી છુટકારો થાય છે.ધર્માત્મા મનુષ્યે યશ,ધર્મ,વિજ્ય તથા પાપના ક્ષય અને મોક્ષની પ્રાપ્તિના માટે ભાગવતકથાનું શ્રવણ કરવું જોઇએ.શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય,રહસ્યાત્મક અને ઇશ્વરના સાચા જ્ઞાનનો અનુભવ કરનાર તમામ વેદોનો સાર છે.આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક-ત્રણ પ્રકારના દુઃખોને દૂર કરનાર છે.વધારે સમય ના હોય અને સાત દિવસ કથાશ્રવણ ના કરી શકો તો એક દિવસ કથાશ્રવણ અવશ્ય કરવી જોઇએ.
શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અઢાર હજાર શ્ર્લોક,બાર સ્કંધ તથા શ્રીશુકદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે.ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો વાંચવાથી ભ્રમ વધે છે જ્યારે ભાગવત શ્રવણથી મુક્તિ મળે છે. જેણે આ શુકશાસ્ત્રનાં થોડાંક વચનો પણ સાંભળ્યાં નથી તે પાપાત્મા જીવતો છતાં મરેલા જેવો છે,પૃથ્વી ઉપર ભારરૂપ અને પશુતુલ્ય છે.કરોડો જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે ભાગવતકથાની પ્રાપ્તિ થાય છે.
આલેખનઃ
વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમાહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)